બાંગ્લાદેશની યુનુસ સરકારે મંગળવારે જુલાઇમાં થયેલી હિંસા મામલે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સહિત 97 લોકોના પાસપોર્ટ રદ કર્યા છે. હસીનાનો પાસપોર્ટ રદ થયાના થોડા સમય બાદ ભારત સરકારે તેના વિઝા લંબાવ્યા હતા. આથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત હસીનાને બાંગ્લાદેશ મોકલશે નહીં.
આ પહેલા 6 જાન્યુઆરીએ બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલે તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું.

ટ્રિબ્યુનલે હસીનાને 12 ફેબ્રુઆરી સુધીમાં પોતાની સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. બાંગ્લાદેશની વચગાળાની સરકારે હસીનાને ડિપોર્ટ કરવા સરકારને વિનંતી પણ કરી છે.
બાંગ્લાદેશના સ્વતંત્ર તપાસ પંચના વડા મેજર જનરલ ફઝલુર રહેમાનનું કહેવું છે કે જો ભારત શેખ હસીનાને ડિપોર્ટ નહીં કરે તો પંચ ભારત આવીને તેમની પૂછપરછ કરવા તૈયાર છે.

