દક્ષિણ કોરિયામાં જંગલમાં લાગેલી આગની ઘટનાએ ભારે તબાહી મચાવી છે. દેશના દક્ષિણ વિસ્તારમાં લાગેલી આ આગમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થયા છે.
આગના બનાવ બાબતે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૧૮ મૃતકોમાં ચાર ફાયરબ્રિગેડના અને એક સરકારી કર્મચારીનો પણ સમાવેશ થાય છે. બુધવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે આગમાં ૨૦૦ થી વધુ ઇમારતો રાખ થઈ ગઈ હતી. જ્યારે ૨૭ હજારથી વધુ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. આ આગને દ.કોરિયાના ઈતિહાસમાં જંગલમાં લાગેલી સૌથી ભીષણ આગ ગણાવવામાં આવી રહી છે.
દક્ષિણ કોરિયા સરકારના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરે જણાવ્યું હતું કે આગમાં ૧,૩૦૦ વર્ષ જૂનો બૌદ્ધ મઠ પણ નાશ પામ્યો હતો. કોરિયા હેરિટેજ સર્વિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉઇસોંગમાં લાગેલી આગને કારણે ૭મી સદીમાં બનેલા ગૌંસા નામના મઠને નોંધપાત્ર નુકસાન થયું હતું. અનુમાન મુજબ, આગ અત્યાર સુધીમાં લગભગ ૪૩,૩૩૦ એકર જમીનને લપેટમાં લઈ ચૂકી છે.
દક્ષિણ કોરિયાના કાર્યવાહક પ્રમુખ હાન ડક-સૂએ કહ્યું હતું કે, આ આગ ગયા શુક્રવારે લાગી હતી અને તે પહેલા કરતા વધુ ખતરનાક બની ગઇ છે. હાને કહ્યું, “નુકસાન વધી રહ્યું છે. આટલી મોટી આગ પહેલા ક્યારેય જાેવા મળી નથી. આ અઠવાડિયે અમારે અમારી તમામ ક્ષમતા સાથે આગને ઓલવવાનો પ્રયાસ કરવો પડશે.”
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લગભગ ૪,૬૫૦ ફાયર ફાઈટર્સ, સૈનિકો અને અન્ય કર્મચારીઓ લગભગ ૧૩૦ હેલિકોપ્ટરની મદદથી જંગલમાં લાગેલી આગને ઓલવવાનું કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ગુરુવારે થોડી રાહતની અપેક્ષા છે.