પશ્ચિમ બંગાળના મુશિર્દાબાદ જિલ્લાના સમસેરગંજ ખાતે મોડી રાત્રે થયેલા ઝઘડા દરમિયાન ૨૯ વર્ષીય સાથીદારે ૫૫ વર્ષીય બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) કોન્સ્ટેબલની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
મૃતકની ઓળખ રતન લાલ સિંહ તરીકે થઈ હતી અને તે રાજસ્થાનનો રહેવાસી હતો. જાંગીપુર સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યાં સ્થાનિક હોસ્પિટલના ડોકટરો રક્તસ્ત્રાવ રોકવામાં નિષ્ફળ ગયા બાદ તેને ખસેડવામાં આવ્યો હતો.
આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે, છત્તીસગઢના આરોપી શિવમ કુમાર મિશ્રાએ પોતાની સવિર્સ રાઇફલમાંથી ૧૩ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમાંથી ઘણી ગોળીઓ સિંહના પેટમાં વાગી હતી.
બીએસએફએ પોલીસને જાણ કરી હતી અને રવિવારે વહેલી સવારે સમસેરગંજ પોલીસ સ્ટેશન દ્વારા મિશ્રાને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. “આ ઘટના બની ત્યારે આરોપી અને મૃતક ફરજ પર હતા. અન્ય માહિતી સમસેરગંજ પોલીસ સ્ટેશન દ્વારા પૂરી પાડવામાં આવશે,” બીએસએફના દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરના પ્રવક્તા એન. કે. પાંડેએ ઘટના અંગે વધુ કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે ચાર વર્ષ પહેલાં બીએસએફમાં જોડાયેલા મિશ્રા સિંહને રિપોર્ટ કરતા હતા. “૧૧૯મી બટાલિયનના બીએસએફ જવાનો પહાડઘાટી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તપાસ દર્શાવે છે કે સિંહ અને મિશ્રા વચ્ચે તેની ગર્ભવતી પત્નીને મળવા જવા માટે રજા ન આપવાને લઈને ઝઘડો થયો હતો. મિશ્રાએ તેની રાઇફલના બર્સ્ટ મોડ લિવરને ફ્લિક કર્યું અને ગોળીબાર કર્યો,” જાંગીપુર પોલીસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું.
બીએસએફ અધિકારીઓ દ્વારા મિશ્રા સામે દાખલ કરાયેલી ફરિયાદના આધારે, ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ની હત્યાના આરોપ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, “મિશ્રાને રવિવારે જાંગીપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.”
સમશેરગંજ જાંગીપુર પોલીસ વિભાગ હેઠળના વિસ્તારોમાંનો એક છે જ્યાં એપ્રિલમાં નવા લાગુ કરાયેલા વક્ફ (સુધારા) કાયદા સામેના વિરોધ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. હિંસામાં ત્રણ લોકોના મોત બાદ તૈનાત કરાયેલા બીએસએફની ૧૧૯મી બટાલિયન સહિત કેન્દ્રીય અર્ધલશ્કરી દળો હજુ પણ કોલકાતા હાઇકોર્ટના આદેશ હેઠળ જાંગીપુરના વિવિધ ભાગોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.