National

મહારાષ્ટ્રના નંદુરબારમાં એક સ્કૂલ બસ આશરે ૧૫૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી; ૧ વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં એક અકસ્માત સર્જાયો હતો જેમાં, અક્કલકુવા-મોલગી માર્ગ પર આવેલા દેવગોઈ ઘાટ વિસ્તારમાંથી પસાર થતા સમયે એક સ્કૂલ બસ આશરે ૧૫૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. આ બસમાં આશરે ૩૦ વિદ્યાર્થીઓ સવાર હતા. બસ મોલગી ગામથી અક્કલકુવા તરફ જઈ રહી હતી ત્યારે આમલિબારી પરિસરમાં બસના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા બસ ૧૫૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.

આ અકસ્માતમાં એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જ્યારે અન્ય ઘણા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ બસ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અક્કલકુવા ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડાયા છે.

ખીણમાં ખાબકતાં જ બસનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહિવટી તંત્રની ટીમ સ્થળ પર દોડી આવી છે. રાહત અને બચાવ કામગીરી કરનારી ટીમે ઈજાગ્રસ્તોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા છે. નંદુરબારના જિલ્લા અધિકારીએ જણાવ્યું કે, અકસ્માત કેવી રીતે થયો, તેની તપાસ કરવામાં આવશે અને જરૂરી સુરક્ષાના પગલાં લેવામાં આવશે.