National

છત્તીસગઢમાં વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલા ૫૦ નક્સલવાદીઓએ સરન્ડર કર્યું

સરન્ડર કરેલ નક્સલવાદીઓમાંથી ૧૪ પર કુલ રૂ. ૬૮ લાખનું ઈનામ હતું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છત્તીસગઢ મુલાકાતના કલાકો પહેલા બીજાપુર જિલ્લામાં ૫૦ નક્સલવાદીઓએ સરન્ડર કર્યું છે. જેમાં ૧૪ પર કુલ રૂ. ૬૮ લાખનું ઈનામ હતું. સીઆરપીએફ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. નક્સલવાદીઓએ છત્તીસગઢ પોલીસ અને સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ હથિયાર ફેંકી સરન્ડર કર્યું હતું.

સરન્ડર કરનારા નક્સલીઓએ પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી)ના વરિષ્ઠ કાર્યકરો દ્વારા પોકળ અને અમાનવીય માઓવાદી વિચારધારા, આદિવાસીઓનું શોષણ અને ચળવળમાં વધતા જતા મતભેદોને ટાંકીને સરન્ડર કર્યું હોવાનું જણાવ્યું છે.

આ મામલે બીજાપુરના વરિષ્ઠ પોલીસ અધિકારી જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું કે, દેશને નક્સલ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ સુરક્ષા કર્મીઓ ઉગ્ર કાર્યવાહી હાથ ધરી રહ્યા છે. મોટાપાયે સર્ચ ઓપરેશન અને નક્સલીઓને ઠાર મારવાના આદેશના પગલે નક્સલવાદીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. સુરક્ષા દળોની છાવણી અને નિયા નેલ્લનાર (તમારૂ સારૂ ગામ) યોજના અમલી બનાવી છે. જેના ભાગરૂપે સિક્યોરિટી ફોર્સ અને પ્રશાસન અંતરિયાળ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ.

તેમજ જિલ્લા રિઝર્વ ગાર્ડ, બસ્તર ફાઈટર્સ, એસટીએફ, સીઆરપીએફ અને કોબ્રાએ નક્સલીઓના સરન્ડરમાં વિશેષ ભૂમિકા નિભાવી છે. નક્સલીઓ આંદોલન છોડી મુખ્યધારામાં સામેલ થાય તે હેતુ સાથે સરકારે નીતિઓ ઘડી છે. આ સરન્ડર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છત્તીસગઢ મુલાકાતના થોડા કલાકો પહેલાં કરવામાં આવ્યું હતું.