પંચમહાલ જિલ્લામાં તા. 23 એપ્રિલ, ગુરુવારના રોજ સવારે 11 કલાકે કલેક્ટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં નાગરિકો, અરજદારો અને પ્રજાજનો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. અરજીઓ તા. 10 એપ્રિલ સુધીમાં મોકલી આપવાની રહેશે.
અરજદારોએ પોતાના સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી કે પેન્શન સિવાયના પ્રશ્નો લેખિતમાં સંબંધિત કચેરીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલવાના રહેશે. દરેક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ અથવા પ્રશ્ન રજૂ કરવો ફરજિયાત છે. અરજીના કવર અને અરજી પર “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” સ્પષ્ટપણે લખવું પડશે.
અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામું અને ટેલિફોન કે મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે. જિલ્લા સ્વાગતમાં અરજી કરતા પહેલા, અરજદારે સૌપ્રથમ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અને ત્યાર બાદ જે કચેરીનો પ્રશ્ન હોય ત્યાં અરજી કરેલી હોવી જોઈએ. જિલ્લાકક્ષાના પ્રશ્ન માટે જિલ્લાના જવાબદાર અધિકારીને કરેલી રજૂઆતની નકલ અરજી સાથે જોડવી અનિવાર્ય છે.
તા. ૧૦ એપ્રિલ સુધીમાં મળેલી અરજીઓનો જ ચાલુ માસના સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રજૂ થતા પ્રશ્નો જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા અને કોર્ટ મેટર ન હોય તેવા જ હોવા જોઈએ. અરજદારે કાર્યક્રમમાં જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની રજૂઆત કરવાની રહેશે અને કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજૂઆત કરાવી શકાશે નહીં. આ માહિતી કલેક્ટર કચેરી, પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાઈ છે.

