સાણંદની ધરા પર વીરતા, શૌર્ય અને અડગ દેશભક્તિના ત્રિવેણી સંગમ સમાન “વીરાંજલિ ડાયરો 2.5”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમે ઉપસ્થિત હજારોની જનમેદનીમાં રાષ્ટ્રપ્રેમનો નવો જુવાળ ફૂંક્યો હતો. વીરાંજલિ સમિતિ અને GTPLના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં દેશના અમર શહીદોને ગૌરવભેર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

લોકકલાકારોએ જમાવી શૌર્યરસની જમાવટ આ ગૌરવમય અવસરે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો સાંઈરામ દવે, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, રાજભા ગઢવી અને અલ્પા પટેલ સહિતના કલાવૃંદે પોતાની કલાના માધ્યમથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કલાકારોએ રજૂ કરેલા શૌર્યગીતો અને વીરતાભરી વાતોએ વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. શહીદોના પ્રેરણાદાયક પ્રસંગોની રજૂઆતથી ઉપસ્થિત જનમેદનીમાં રાષ્ટ્રીય ગૌરવનો અદ્દભૂત સંચાર થયો હતો અને સમગ્ર સાણંદ પંથક જય હિંદના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

કાર્યક્રમમાં શહીદ ભગતસિંહ, સુખદેવ જેવા અનેક ક્રાંતિવીરોની શહાદતને યાદ કરવામાં આવી હતી. દેશની આઝાદી અને સુરક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર મહાન વીરોની ગાથાઓએ લોકોના હૃદયમાં અપરંપાર આદર અને કૃતજ્ઞતાનો ભાવ જગાવ્યો હતો. વીર રસની છોળો વચ્ચે લોકોએ ઉભા થઈને શહીદોના બલિદાનને નમન કર્યા હતા, જે એક અત્યંત ભાવુક અને ગૌરવશાળી ક્ષણ બની રહી હતી.

રાજકીય અને સામાજિક અગ્રણીઓની હાજરી આ ઐતિહાસિક કાર્યક્રમમાં અનેક મહાનુભાવોની ગરિમામય હાજરી રહી હતી. જેમાં રાજસ્થાનના શહીદ પ્રતાપસિંહજીના પ્રપૌત્ર શત્રુસલ્યસિંહજી બારહટ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આ ઉપરાંત કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ રાજ્ય મંત્રીઓ સંજયસિંહ મહિડા, કમલેશભાઈ પટેલ, દર્શનાબેન વાઘેલા, રિવાબા જાડેજા, પ્રવીણભાઈ માળી અને કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા.

