આણંદ જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને ખંભાત અને તારાપુર તાલુકાના ભાલ પંથકમાં રવિ પાકને માઠી અસર પહોંચી છે. ગઈકાલે પડેલા કમોસમી વરસાદ અને તેજ પવનને કારણે ખેતરોમાં તૈયાર થયેલો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો.
દહેડા ગામના ખેડૂત મહેશ દેવેન્દ્ર રાઠોડે જણાવ્યું કે, ચણાનો પાક તૈયાર હતો ત્યારે જ વરસાદ પડતા પાક પલળી ગયો છે. તેમણે મોંઘા બિયારણ અને મહેનતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પલળેલા ચણાને યોગ્ય ભાવ મળવો મુશ્કેલ બનશે.

યુવા ખેડૂત અજયસિંહ રાઠોડે 10 વીઘામાં વાવેલા ચણાના પાકને વરસાદથી નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ચણાનો પાક કાળો પડી ગયો છે અને તેનો ભૂસો પણ પશુઓના ઘાસચારા તરીકે ઉપયોગમાં લઈ શકાશે નહીં.
દહેડાના અન્ય એક ખેડૂત વિક્રમસિંહ રાઠોડે તેમના 10 વીઘાના જુવારના પાકને થયેલા નુકસાન વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, પવનને કારણે જુવારનો પાક આડો પડી ગયો છે અને તે પશુઓના ઘાસચારા માટે પણ યોગ્ય રહ્યો નથી.
ભાલ પંથકમાં ઘઉં, જુવાર, ચણા ઉપરાંત તમાકુ અને ટામેટીના પાકને પણ અસર થઈ છે. ખેડૂતોના મતે, વરસાદને કારણે ઘઉંની ઉંબીઓમાં પાણી ભરાઈ જવાથી ઘઉંનો લોટ કાળો પડશે અને ગુણવત્તા બગડતા બજારમાં યોગ્ય ભાવ મળશે નહીં.

