Gujarat

ભીખ માંગવા ને ભંડારામાં મફત જમવા માટે માસૂમનું અપહણર

સુરતના અમરોલી વિસ્તારમાંથી ગત 2 એપ્રિલના રોજ અપહરણ કરાયેલી 4 વર્ષની માસૂમ બાળકીને સુરત પોલીસે 84 કલાકના સઘન સર્ચ ઓપરેશન બાદ અમદાવાદના નારોલથી સુરક્ષિત રીતે શોધી કાઢી છે.

મૂળ દાહોદના આરોપી પપ્પુ ઉર્ફે સીનિયા ખડિયાએ માત્ર ભીખ માંગવામાં સરળતા રહે અને લોકોની સહાનુભૂતિથી મફત જમવાનું મળી રહે તેવા વિચિત્ર હેતુથી આ અપહરણ કર્યું હતું. પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ 120થી વધુ પોલીસકર્મીઓની ટીમે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.

1500 સીસીટીવી અને સોશિયલ મીડિયાની મદદથી સર્ચ ઓપરેશન બાળકીની શોધખોળ માટે 5 પોલીસ ઈન્સ્પેક્ટર અને 9 પીએસઆઈ સહિતની ખાસ ટીમ તૈનાત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે સુરતથી સાયણ અને વડોદરાથી મુંબઈ સુધીના રેલવે રૂટ પરના 1500થી વધુ સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા.

સીસીટીવી ફૂટેજમાં આરોપી સાયણના જલારામ મંદિર પાસે ભંડારામાં જમતો અને ત્યારબાદ ટ્રેન મારફતે જતો જોવા મળ્યો હતો. આ સાથે જ 1000થી વધુ પોલીસ જવાનોએ સોશિયલ મીડિયા પર બાળકીના ફોટા વાઇરલ કર્યા હતા, જેના આધારે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી બાતમી મળતા આરોપીને કોર્ડન કરી પકડી પાડવામાં આવ્યો હતો.