વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પને વધુ વેગ આપવા માટે ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓની ઉચ્ચસ્તરીય ‘મંથન બેઠક’ યોજાશે. બેઠકનું અધ્યક્ષસ્થાન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સંભાળશે. આ બેઠકમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ સાથે અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અને સચિવ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. સહકાર મંત્રાલયની વિવિધ પહેલોની સમીક્ષા, અત્યાર સુધી થયેલી પ્રગતિનું મૂલ્યાંકન અને ભવિષ્ય માટે સંકલિત રોડમેપ તૈયાર કરવા આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
બેઠકમાં દેશભરમાં ૨ લાખ નવી મલ્ટી-પર્પઝ પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ, ડેરી અને મત્સ્ય સહકારી મંડળીઓની સ્થાપનાની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાના હેતુથી આ પહેલને ગતિ આપવા રાજ્યોની સક્રિય ભાગીદારી પર ભાર મુકવામાં આવશે. સાથે સાથે વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના હેઠળ આધુનિક ગોદામોના નેટવર્કના વિસ્તરણ, ખેડૂતોને વધુ સંગ્રહ સુવિધા, ભાવ સ્થિરતા અને બજારમાં સીધી પહોંચ સુનિશ્ચિત કરવા માટે ચર્ચા થશે. બેઠકમાં ૯૭મા બંધારણીય સુધારાને અનુરૂપ મોડેલ સહકારી કાયદા અપનાવવા, સહકારી ખાંડ મિલોની આર્થિક સ્થિતિ સુધારવા તેમજ ડેરી ક્ષેત્રે ટકાઉ વૃદ્ધિ માટે ખાસ ચર્ચા થશે.

