Gujarat

અમદાવાદમાં વૈષ્ણોદેવી બ્રિજ પાસે ઓવર સ્પીડમાં આવતી ફોર્ચ્યુનર એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ

અમદાવાદના સૌથી વ્યસ્ત માર્ગ એવા સરખેજ ગાંધીનગર હાઈવે પર આજે રવિવારના રોજ સવારે, એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું છે. જ્યારે તેની સાથે સવાર યુવતીને સારવાર માટે દાખલ કરવામાં આવી છે. અકસ્માતના સીસી ટીવી સામે આવ્યા છે. પોલીસે સીસી ટીવી ચેક કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના એસ જી હાઈવે પર વૈષ્ણોદેવી બ્રિજ ઉપર આજે ગાંધીનગર તરફ ઝડપથી જઈ રહેલ ફોરચ્યુનર કાર, સામેથી આવી રહેલ એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું છે. જ્યારે તેની સાથે કારમાં સવાર અન્ય યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.

ગમખ્વાર અકસ્માતના સામે આવેલા સીસીટીવીમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે, ખૂબ ઝડપથી ગાંધીનગર તરફ જઈ રહેલ ફોરચ્યુનર કારનો ચાલક, કોઈ કારણોસર કાર પરનો કાબૂ ગુમાવે છે. ફોરચ્યુનર કાર બ્રિજના સામેની તરફ હિંમતનગરથી રાજકોટ તરફ જઈ રહેલ એસ ટી બસ સાથે ધડાકાભેર અથડાય છે. ખૂબ જ ઝડપથી ધડાકાભેર અથડાવવાને કારણે એસટી બસ ચાલક પણ એસટી બસ પરનો કાબુ ગુમાવે છે અને બસ પણ સામેની તરફના રોડ પર ચડી જાય છે.

એસ જી હાઈવેના વ્યસ્ત વૈષ્ણોદેવી બ્રિજ પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતને લઈને એસજી હાઈવ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોચીને, એસટી બસ અને ફોરચ્યુનર કારને ક્રેઈનની મદદથી રોડ પરથી હટાવીને ટ્રાફિકને રાબેતા મુજબ કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ અકસ્માતમાં ભાજપના નેતા આઈ. બી. વાઘેલાના ૨૪ વર્ષીય પુત્ર ધવલનું મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર ૨૧ વર્ષીય યુવતી દેવાંશી યોગેશ પંડ્યા ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાઈ હતી. આ ઉપરાંત અકસ્માતમાં અફસાનાબાનુ ખલીફા અને રસુલ આજમને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ક્રેન મારફતે ગાડીને ટો કરીને ખસેડી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.