પથિકાશ્રમ પાસે હોટલમાં રાતે ઊંચા અવાજે સંગીતની સુરાવલીઓ વચ્ચે પોલીસ ત્રાટકી
લગ્નનો અવસર હોય અને સંગીતની સુરાવલીઓ ન રેલાય એવું તો કેમ બને, પરંતુ ક્યારેક આ ઉત્સાહ કાયદાની મર્યાદા વટાવી જાય ત્યારે લગ્નના રંગમાં ભંગ જેવી સ્થિતિ સર્જાય છે. આવું જ કંઈક પાટનગરમાં બન્યું છે.જ્યાં દીકરીના લગ્નની પૂર્વસંધ્યાએ સંગીતના તાલે ઝૂમી રહેલા પરિવારની ખુશીઓ વચ્ચે અચાનક પોલીસની એન્ટ્રી થઈ અને આયોજક પિતાએ પોલીસ સ્ટેશનના પગથિયાં ચઢવાનો વારો આવ્યો હતો.
ગાંધીનગર સેક્ટર ૭ પોલીસ સ્ટેશનના સ્ટાફે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન મળેલા મેસેજના આધારે પથિકાશ્રમ પાસે આવેલી એક જાણીતી હોટલમાં મંજૂરી વિના અને નિયત સમય મર્યાદા પછી પણ લાઉડ સ્પીકર પર ઊંચા અવાજે દીકરીના લગ્નના સંગીતની સુરાવલીઓ રેલાવનાર પિતા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી લગ્નના રંગમાં ભંગ પાડ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળ્યો
ગાંધીનગર સેક્ટર-૭ પોલીસ સ્ટેશનના એએસઆઈ સિદ્ધરાજભાઈ જગદીશભાઈ અને તેમની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન રાત્રિના કંટ્રોલ રૂમથી મેસેજ મળ્યો કે પથિકાશ્રમ નજીક આવેલી નીલાયા હોટલમાં મોટેથી લાઉડ સ્પીકર વાગી રહ્યા છે.
હોટલ પર પોલીસ પહોંચી
જેના પગલે પોલીસ તાબડતોડ દોડી જઈ હોટલ પર ત્રાટકી હતી. ત્યારે ત્યાં લગ્ન પ્રસંગના ગીતોની ધૂમ મચી હતી અને મહેમાનો સંગીતનો આનંદ માણી રહ્યા હતા. જાેકે લગ્નના માહોલમાં મગ્ન પરિવારને કદાચ અંદાજ પણ નહીં હોય કે તેમની આ ખુશી કાયદાકીય રીતે ઘોંઘાટ ગણાઈ રહી છે.
અમદાવાદના શખ્સે દીકરીના લગ્ન હોવાથી સંગીત સંધ્યાનું આયોજન કર્યું હતું
બાદમાં પોલીસે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે આ સંગીત સંધ્યાનું આયોજન અમદાવાદના સાબરમતી વિસ્તારના રહેવાસી મૂલચંદભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. મૂલચંદભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, તેમની દીકરીના લગ્ન આવતીકાલે હોવાથી આજે પરિવાર અને સ્નેહીજનો સાથે સંગીતનો કાર્યક્રમ રાખ્યો છે.
સૂચના બાદ પણ સંગીત ચાલું રાખતા કાર્યવાહી
જાેકે પોલીસે રાત્રે ૧૦ વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ હોવાનું બ્રહ્મજ્ઞાન આપી કલેક્ટર કે સક્ષમ અધિકારીની પરવાનગી માગી હતી. જાેકે મૂલચંદભાઈ પાસે આવું કોઈ પ્રમાણપત્ર નહોતું. જેથી પોલીસે લાઉડ સ્પીકર બંધ કરવા સૂચના આપી હતી. તેમ છતાં લગ્નના રંગમાં ઉંચા અવાજે સંગીત ચાલુ રાખતા પોલીસે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ મૂલચંદભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જાેકે પથિકાશ્રમ સર્કલ આસપાસ પણ આડેધડ ઊભા રહી જાહેરનામાનો ભંગ કરતા રિક્ષા ચાલકો સામે પણ આજ પ્રકારે કાર્યવાહી કયારે થાય એ જાેવું રહ્યું.

