ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ, ગુજરાતમાં ૧૦૦ કરોડના ‘અર્બન ટ્રાન્સપોર્ટ ફંડ’ ને મળી મંજૂરી
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મેટ્રો શહેરોમાં ટ્રાફિકની જટિલ સમસ્યાના કાયમી નિરાકરણ માટે એક મહત્વકાંક્ષી યોજનાને લીલી ઝંડી આપવામાં આવી છે. રાજ્ય સરકારે ‘અર્બન ટ્રાન્સપોર્ટ ફંડ‘ યોજનાને મંજૂરી આપી છે, જે અંતર્ગત ૧૦૦ કરોડ રૂપિયાના ખાસ ફંડની સ્થાપના કરવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરોમાં વાહનોનું ભારણ ઘટાડવા માટે શહેરની બહારના ભાગમાં આધુનિક ‘મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ‘ વિકસાવવાનો છે. આ હબ બનવાથી બહારથી આવતા ભારે વાહનો અને ખાનગી ટ્રાન્સપોર્ટ સેવાઓ શહેરની મર્યાદા બહાર જ અટકશે, જેથી મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળશે.
આ પરિવર્તનકારી યોજનામાં મુસાફરોની સુવિધા માટે ‘વન કાર્ડ, ઓલ સર્વિસ‘નો અભિગમ અપનાવવામાં આવ્યો છે. એક જ સ્માર્ટ કાર્ડની મદદથી નાગરિકો મેટ્રો રેલ, સિટી બસ અને અન્ય સરકારી પરિવહન સેવાઓનો લાભ લઈ શકશે. આ ડિજિટલ કનેક્ટિવિટીને કારણે મુસાફરોને અલગ-અલગ ટિકિટ લેવાની પળોજણમાંથી મુક્તિ મળશે અને પરિવહન વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. વિવિધ ટ્રાન્સપોર્ટ સેવાઓને એકબીજા સાથે સાંકળીને સરકાર શહેરી પરિવહનને વધુ સ્માર્ટ અને ઝડપી બનાવવાની દિશામાં આગળ વધી રહી છે.

