ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર નિયંત્રણ મેળવ્યા બાદ હવે ગુજરાતનું આરોગ્ય તંત્ર સીઝનલ ફ્લૂ (H1N1) સામે પણ આગોતરી તૈયારીમાં લાગી ગયું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સથી યોજાયેલી બેઠકમાં સિવિલ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો, મેડિકલ કોલેજોના ડીન તેમજ જિલ્લા અને મહાનગરપાલિકાના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ જોડાયા હતા.
‘રાજ્યમાં H1N1નો ગંભીર ઉપદ્રવ નથી’ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ H1N1ના દર્દીઓની સ્થિતિ સામાન્ય છે અને રાજ્યમાં કોઈ ગંભીર ઉપદ્રવ નથી. તેમણે નાગરિકોને ગભરાવાની જરૂર ન હોવાનું પણ સ્પષ્ટ કર્યું હતું. દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાં H1N1ના કેસ સામે આવી રહ્યા હોવાથી ત્યાંથી ફ્લાઇટ, ટ્રેન અને બસ મારફતે ગુજરાતમાં સતત આવનજાવન રહે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે આગોતરી સજ્જતા વધારી છે.
2019ની ગાઇડલાઇન પ્રમાણે ટેસ્ટિંગ-સારવાર આરોગ્ય મંત્રીએ તમામ સરકારી હોસ્પિટલોમાં વર્ષ 2019ની H1N1 ગાઇડલાઇનનું ચોક્કસ પાલન કરવા અધિકારીઓને સૂચના આપી છે. દર્દીઓના સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સારવારની પ્રક્રિયામાં કોઈ બેદરકારી ન રહે તે માટે ઇમરજન્સી વિભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવા આદેશ કરાયો છે.
દવા, ઓક્સિજન અને વેન્ટિલેટર તૈયાર રાખવા આદેશ H1N1 સામેની સજ્જતાના ભાગરૂપે રાજ્યની સિવિલ અને સરકારી હોસ્પિટલોમાં જરૂરી દવાઓનો પૂરતો જથ્થો, ઓક્સિજનની સુવિધા તેમજ વેન્ટિલેટર ઉપલબ્ધ રાખવા મંત્રીએ નિર્દેશ આપ્યા છે. હોસ્પિટલોમાં કોઈ ટેકનિકલ કે સ્ટાફ સંબંધિત સમસ્યા હોય તો તેને આંતરિક સ્તરે ઝડપથી ઉકેલવા પણ અધિકારીઓને જણાવાયું છે, જેથી દર્દીઓની સારવાર અને સેવાઓમાં કોઈ વિક્ષેપ ન પડે.

