International

પગાર વધારાને લઈને મુહમ્મદ યુનુસના ઢાકા નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન, ૧૫ ઘાયલ

બાંગ્લાદેશમાં ફરીવાર અશાંતિ નો માહોલ??

બાંગ્લાદેશમાં ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ શુક્રવારે ઢાકામાં મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના સત્તાવાર નિવાસસ્થાન, જમુના સામે વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં નવમા રાષ્ટ્રીય પગાર ધોરણની જાહેરાતની માંગ કરવામાં આવી.

શાહબાગ ખાતે પોલીસ બેરિકેડનો વિરોધ કરીને, પ્રદર્શનકારીઓ શુક્રવારે સવારે ૧૧:૩૦ વાગ્યે જમુના તરફ કૂચ કરી અને નિવાસસ્થાન સામે પ્રદર્શન શરૂ કર્યું. બાદમાં પોલીસે તેમને વિખેરવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો.

મીડિયા સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે સુરક્ષા કર્મચારીઓ સાથેની અથડામણ દરમિયાન ઓછામાં ઓછા ૧૫ લોકો ઘાયલ થયા છે.

“અમે સતર્ક છીએ જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં. અમે પ્રદર્શનકારીઓ સાથે વાત કરી રહ્યા છીએ જેથી તેઓ અન્યત્ર ખસી જાય,” ઢાકા ટ્રિબ્યુને રામના ડિવિઝનના ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) મસુદ આલમને ટાંકીને જણાવ્યું હતું.

સ્થાનિક સમાચાર આઉટલેટ્સ અનુસાર, વિરોધ પ્રદર્શન ઢાકાના શહીદ મિનારથી શરૂ થયા હતા, જ્યાં બાંગ્લાદેશભરમાંથી પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. વિરોધ કરી રહેલા સરકારી કર્મચારીઓએ સવારે ૧૧ વાગ્યાની આસપાસ મુખ્ય સલાહકારના નિવાસસ્થાન, જમુના તરફ કૂચ શરૂ કરી. જ્યારે તેઓ શાહબાગ પહોંચ્યા, ત્યારે તેમને પોલીસ પ્રતિકારનો સામનો કરવો પડ્યો.

પોલીસે ભીડને વિખેરવા માટે પાણીના તોપનો મારો ચલાવ્યો, પરંતુ તેઓ મુહમ્મદ યુનુસના નિવાસસ્થાને પહોંચવામાં સફળ રહ્યા અને તેની સામે વિરોધ શરૂ કર્યો. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પ્રદર્શનકારીઓ સાથે અનેક રાઉન્ડની વાતચીત કરી. જ્યારે પ્રદર્શનકારીઓએ ત્યાંથી જવાનો ઇનકાર કર્યો ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો. ભીડને વિખેરવા માટે ટીયર ગેસ પણ છોડવામાં આવ્યો.

બાંગ્લાદેશમાં ૧૨ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. પ્રદર્શનકારીઓને ડર છે કે નવી સરકાર સત્તા સંભાળ્યા પછી, સરકારી કર્મચારીઓ માટે પ્રસ્તાવિત પગાર વધારાનો અમલ વિલંબિત થઈ શકે છે.

તેમની માંગ છે કે મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વર્તમાન વચગાળાની સરકારે નવા પગાર ધોરણની જાહેરાત કરવી જાેઈએ, કારણ કે પગાર પંચે તેનો સંપૂર્ણ અહેવાલ પહેલાથી જ રજૂ કરી દીધો છે, અને આ ધોરણ ગેઝેટ સૂચના દ્વારા લાગુ કરી શકાય છે.