પાકિસ્તાનમાં વધુ એક મોટો બોમ્બ વિસ્ફોટ
ધાર્મિક સ્થળ પર થયેલ ઘટક વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૨૫ન મોત, ૧૦૦ ઈજાગ્રસ્ત
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આવેલા શહેઝાદ ટાઉનના તરલાઈમાં આવેલા ઇમામબારગાહમાં શુક્રવારની નમાજ પછી એક ઘાતક વિસ્ફોટ થયો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલોમાં અનેક જાનહાનિનો સંકેત મળ્યો છે, જ્યારે નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ઇસ્લામાબાદના શહેઝાદ ટાઉન વિસ્તારમાં આવેલા તરલાઈ ઇમામબારગાહમાં આત્મઘાતી હુમલો માનવામાં આવતો આ વિસ્ફોટ થયો હતો. પાકિસ્તાનની રાજધાનીમાં શુક્રવારની નમાજ દરમિયાન લઘુમતી શિયા સમુદાયના ધાર્મિક કેન્દ્રમાં આ વિસ્ફોટ થયો હતો.
એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે શિયા સેન્ટરમાં થયેલા વિસ્ફોટ પાછળ આત્મઘાતી હુમલાખોરનો હાથ હોવાની શંકા છે. જાેકે, ઘટનાના હેતુ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.
“હુમલાખોરને ગેટ પર રોકવામાં આવ્યો હતો અને તેણે પોતાને વિસ્ફોટ કર્યો હતો,” અધિકારીએ નામ ન આપવાની શરતે મીડિયા સૂત્રોને જણાવ્યું હતું.
દરમિયાન, પોલીસ અને બચાવ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. અહેવાલમાં જણાવાયું છે કે ઘાયલોને સારવાર માટે પીઆઈએમએસ અને પોલીક્લિનિક મોકલવામાં આવ્યા છે.
ઇસ્લામાબાદ પોલીસ પ્રવક્તા તાકી જાવદે જણાવ્યું હતું કે વિસ્ફોટનું સ્વરૂપ સ્પષ્ટ નથી, તેમણે ઉમેર્યું હતું કે અધિકારીઓ તે નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે આત્મઘાતી હુમલો હતો કે પ્લાન્ટેડ બોમ્બ હતો.
પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ હુમલાની નિંદા કરી અને અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સંભાળ સુનિશ્ચિત કરવા જણાવ્યું. પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે પણ આ ઘટનાની નિંદા કરી છે.

