International

પાકિસ્તાની રક્ષા મંત્રી બોલ્યા- મુનીર મારા બોસ નથી

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે ફિલ્ડ માર્શલ આસિમ મુનીર તેમના બોસ નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમના બોસ વડાપ્રધાન શાહબાઝ શરીફ છે. ૧૮ ફેબ્રુઆરીના રોજ ફ્રાન્સ ૨૪ ઇંગ્લિશને આપેલા ઇન્ટરવ્યુમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે શું આસિમ મુનીર જ પાકિસ્તાનની સરકાર ચલાવી રહ્યા છે. તેમણે સ્વીકાર્યું કે ભૂતકાળમાં સેનાએ શાસન સંભાળ્યું હતું. આસિફે કહ્યું, પાકિસ્તાનની એક સિસ્ટમ છે. આપણા ઇતિહાસમાં એવા સમયગાળા રહ્યા છે, જ્યારે સેનાનું સરકાર પર નિયંત્રણ રહ્યું. એક સમય એવો પણ હતો જ્યારે સેનાએ દખલ કરીને સત્તાની લગામ પોતાના હાથમાં લઈ લીધી હતી. તેમણે કહ્યું કે આ સમયે પાકિસ્તાન અફઘાનિસ્તાનથી ખતરા, આતંકવાદ, ભારત સાથે તણાવ અને નબળી અર્થવ્યવસ્થા જેવા પડકારોનો સામનો કરી રહ્યું છે. આવી પરિસ્થિતિઓમાં પાકિસ્તાની સેના સરકારને સમર્થન આપી રહી છે.

ખ્વાજા આસિફે આ પહેલા ગયા વર્ષે આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં સરકાર અને સેના મળીને દેશ ચલાવે છે. આસિફે કહ્યું હતું કે પાકિસ્તાનને હાઇબ્રિડ મોડેલથી ચલાવવામાં આવી રહ્યું છે. આસિફ પહેલા પણ ઘણી વખત હાઇબ્રિડ મોડેલના વખાણ કરી ચૂક્યા છે. અરબ ન્યૂઝને આપેલા એક જૂના ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનનું પોલિટિકલ સિસ્ટમ આદર્શ લોકતંત્ર નથી, પરંતુ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે આ મોડેલ પાકિસ્તાનની આર્થિક અને શાસનની સમસ્યાઓને હલ કરવામાં ‘કમાલ‘ કરી રહ્યું છે.

ખ્વાજા આસિફે કહ્યું છે કે ભારત અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર મળીને પાકિસ્તાન વિરુદ્ધ પ્રોક્સી વોર ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન પરના હુમલાઓને લઈને નવી દિલ્હી અને કાબુલની વિચારસરણી એક જેવી છે. આસિફે કહ્યું કે જાે જરૂર પડશે તો પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં ફરીથી કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું કે જાે અફઘાનિસ્તાન તરફથી શાંતિની કોઈ નક્કર ગેરંટી નહીં મળે, તો પાકિસ્તાન ત્યાં નવા હુમલાઓ કરતા પાછળ નહીં હટે. આસિફે એમ પણ કહ્યું કે ભારત સાથે યુદ્ધની સંભાવના હજુ પણ સમાપ્ત થઈ નથી.

ઇસ્લામાબાદની એક શિયા મસ્જિદમાં તાજેતરમાં થયેલા બોમ્બ વિસ્ફોટનો ઉલ્લેખ કરતા આસિફે કહ્યું કે પાકિસ્તાનમાં લગભગ તમામ મોટા આતંકી સંગઠનોની હાજરી છે. તેમણે આરોપ લગાવ્યો કે આતંકવાદ રોકવામાં કાબુલ સરકાર ગંભીર નથી. તેમના મતે આને માત્ર બેદરકારી નહીં, પરંતુ મિલીભગત કહેવું વધુ યોગ્ય રહેશે. ૬ ફેબ્રુઆરીના રોજ નમાઝ દરમિયાન થયેલા આ આત્મઘાતી હુમલામાં ૩૧ લોકોના મોત થયા હતા અને ૧૬૯ લોકો ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ જૂથે લીધી છે.

આસિફે કહ્યું છે કે પેલેસ્ટાઇનના લોકોને તેમનો હક મળ્યા વિના ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન હાલમાં આ વિકલ્પ પર વિચાર પણ કરી રહ્યું નથી. ગાઝામાં સંભવિત આંતરરાષ્ટ્રીય શાંતિ મિશનમાં પાકિસ્તાનની ભૂમિકા અંગે તેમને સવાલ કરવામાં આવ્યો. આ અંગે આસિફે કહ્યું કે પાકિસ્તાનની ભાગીદારી એ વાત પર ર્નિભર કરશે કે તે શાંતિ દળ માટે કયા પ્રકારની શરતો નક્કી કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનોમાં કામ કરવાનો લાંબો અનુભવ છે. જાે પરિસ્થિતિઓ અને શરતો યોગ્ય રહી, તો ગાઝામાં સામેલ થવું એ દ્વિ-રાષ્ટ્ર સમાધાનની દિશામાં આગળ વધવા માટે એક સારી તક બની શકે છે.