શુક્રવારે વહેલી સવારે માલદીવમાં રેમન્ડ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ હરિ સિંઘાનિયા અને અન્ય પ્રવાસીઓને લઈ જતી સ્પીડબોટ પલટી જતાં તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. રેલી ડ્રાઈવર હરિ સિંહ સહિત બે ભારતીય પુરુષો ગુમ હોવાની આશંકા છે, જેમની શોધખોળ હાલમાં ચાલી રહી છે, મીડિયા સુત્રોના અહેવાલ મુજબ.
વી ફેલિધૂ નજીક પલટી ગયેલા જહાજમાં સિંઘાનિયા સાત લોકોમાં હતા. ઘટના બાદ તેમને બચાવી લેવામાં આવ્યા હતા અને ત્યારથી તેમને મુંબઈ પાછા લાવવામાં આવ્યા છે, જ્યાં તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે, એમ તેમના પ્રવક્તાએ જણાવ્યું હતું.
“એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત બાદ ગૌતમ સિંઘાનિયાને નાની ઈજાઓ થઈ હતી. તેઓ મુંબઈમાં યોગ્ય સારવાર હેઠળ સ્વસ્થ થઈ રહ્યા છે,” પ્રવક્તાએ જણાવ્યું હતું.
પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું હતું કે, “અમે શુભેચ્છાઓ બદલ આભાર માનીએ છીએ અને અસરગ્રસ્ત મિત્રોની સુખાકારી માટે પ્રાર્થના કરીએ છીએ.”
માલદીવથી મળેલા અહેવાલો અનુસાર, સ્પીડબોટમાં પાંચ ભારતીય પુરુષો સાથે યુનાઇટેડ કિંગડમ અને રશિયાની બે મહિલાઓ હતી. પોલીસે જણાવ્યું હતું કે જહાજ પલટી ગયા બાદ પાંચ વ્યક્તિઓ દરિયામાં તણાઈ ગયા હતા, જેમાં એક રશિયન મહિલા અને ચાર ભારતીય પુરુષોનો સમાવેશ થાય છે.
હજુ પણ ગુમ થયેલા લોકોમાં બે ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે, જેમાં રેલી ડ્રાઇવર હરિ સિંહનો પણ સમાવેશ થાય છે, અને તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે.
અધિકારીઓએ આ વિસ્તારમાં શોધખોળ શરૂ કરી છે, જ્યારે ઘટનાની આસપાસના સંજાેગોની તપાસ ચાલુ છે.

