૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના પીડિતો માટે લાંબી કાનૂની લડાઈ લડી રહેલા વરિષ્ઠ માનવાધિકાર વકીલ હરવિંદર સિંહ ફૂલકા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જાેડાયા.
સંગરુરના ભદૌર શહેરના જાટ શીખ ફૂલકા અગાઉ આમ આદમી પાર્ટી (AAP)માં હતા અને પંજાબ વિધાનસભામાં ભૂતપૂર્વ ધારાસભ્ય હતા.
બુધવારે ભાજપમાં જાેડાયા બાદ, ફૂલકાએ યાદ કર્યું કે કેવી રીતે તેઓ અને તેમની પત્ની, જે તે સમયે ગર્ભવતી હતી, ૧૯૮૪માં તેમના મકાનમાલિકના પરિવારે તેમને છુપાવ્યા પછી તોફાનીઓથી છટકી ગયા હતા.
તેમણે પીડિતો વતી તેમણે ચલાવેલી કાનૂની લડાઈ અને ભાજપે તેને કેવી રીતે ટેકો આપ્યો તે વિશે પણ વિગતવાર વાત કરી. ૨૦૧૯માં પદ્મશ્રી મેળવનાર, ફૂલકાએ કોંગ્રેસના નેતાઓ સજ્જન કુમાર અને જગદીશ ટાઇટલર સામે કેસ ચલાવ્યો હતો, જેમના પર ૧૯૮૪માં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ શીખ વિરોધી રમખાણોને ભડકાવવાનો આરોપ હતો.
ફૂલકાએ ૨૦૧૪માં AAP સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો, લુધિયાણાથી લોકસભાની ચૂંટણી લડી, પરંતુ હારી ગયા. બાદમાં તેમણે ૨૦૧૭ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં દાખા બેઠક જીતી અને થોડા સમય માટે રાજ્યમાં વિરોધ પક્ષના નેતા તરીકે સેવા આપી.
બે વર્ષ પછી, તેમણે AAP છોડી દીધી અને રાજકારણથી વિરામ લીધો. દિલ્હી બાર કાઉન્સિલે તેમને આ પદ પર રહેવાની સાથે કાયદાની પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ મૂક્યા બાદ ફૂલકાએ આ પદ છોડવાનો ર્નિણય જાહેર કર્યો. આખરે તેમણે ૨૦૧૮માં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને ૨૦૧૯ની શરૂઆતમાં AAP છોડી દીધું જેથી સંપૂર્ણપણે ન્યાયિક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, જે તેમના જાેડાણ દરમિયાન હાજર હતા, તેમણે કહ્યું કે આ ઘટનાને રમખાણ કહેવું યોગ્ય નથી, કારણ કે સમુદાય પર હુમલો થયો હતો.

