આથી જામનગરની જાહેર જનતાને જણાવવાનું કે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના‘ હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત પરિવારોને વાર્ષિક રૂ.૬૦૦૦ની સહાય ૦૩ હપ્તામાં ચૂકવવામાં આવે છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ફરજિયાત પણે આધાર કે.વાય.સી. પૂર્ણ કરાવવાનું રહેશે. જે ખેડૂતોને ઈ-કે.વાય.સી. અને આધાર સીડેડ નહિ કરાવ્યું હોય તેમને હવે પછીની સહાયના હપ્તાં સરકાર તરફથી બેંક ખાતામાં જમા કરાવવાના આવશે નહિ. જે ખેડૂતોને ઈ-કે.વાય.સી. કરાવવાનું બાકી હોય તેઓએ તાત્કાલિક ધોરણે નજીકના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર અને ઈ-ગ્રામ કેન્દ્રમાં જઈ કરાવી શકાશે, અને તે માટે રૂ.૧૫ ફી ચુકવવાની રહેશે. આ ઉપરાંત મોબાઇલ ફોન પર ઓટીપી બેઝડ ઈ-કે.વાય.સી. પણ કરી શકાશે. લાભાર્થી ખેડૂતોને આધાર સીડેડ અને ઈ-કે.વાય.સી. કરાવેલ બેંક ખાતામાં જ સરકાર દ્વારા સહાય જમા કરાવવામાં આવશે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરી શકાશે.