અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જયદીપ પટેલે સાબરમતી નદીમાં કૂદી આપઘાત કર્યો છે. મંગળવારે મોડીરાત્રે પાલડી પાસે સાબરમતી નદીમાં એક વ્યક્તિની લાશ હોવા અંગેની માહિતીને મળી હતી. આથી ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને બહાર કાઢી હતી. આ મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેક્ટરે શા માટે આત્મહત્યા કરી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
એકાદ કલાકની શોધખોળ બાદ લાશ મળી
મળતી માહિતી મુજબ, અમદાવાદ ફાયરબ્રિગેડને મંગળવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ મેસેજ મળ્યો હતો કે, પાલડી તરફ સાબરમતી નદીમાં એક વ્યક્તિએ પડતું મૂકી આપઘાત કર્યો છે. જેથી ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. એકાદ કલાકની શોધખોળ બાદ ફાયરબ્રિગેડની ટીમને લાશ મળી આવી હતી.
પાલડીના નવજીવન એપાર્ટમેન્ટમાં રહેતા
ફાયર બ્રિગેડની ટીમે પોલીસને જાણ કરતા સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક અંગેની તપાસ કરતા તેનું નામ જયદીપ ચંદુભાઈ પટેલ (ઉં.વ 29, રહે, નવજીવન એપાર્ટમેન્ટ પાલડી અમદાવાદ, મૂળ રહે નવસારી) હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક જયદીપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં બોડકદેવ વોર્ડમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.

આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ
મૃતક જયદીપ પટેલ મંગળવારથી જ ગુમ હોવા અંગેની માહિતી મળી હતી. ગુમ હોવા અંગેની જાણકારી સોશિયલ મીડિયામાં અને પોલીસને પણ આપવામાં આવી હતી. જયદીપનું બાઈક સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટસ ખાતેથી મળી આવ્યું હતું. જેથી સાબરમતી નદીમાં પડતું મૂકી આપઘાત કર્યો હોવા અંગેની પણ શંકા હતી. જયદીપ પટેલે આ માટે આપઘાત કર્યો એ અંગે હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.