National

ડૉ. જિતેન્દ્ર સિંહ, બિલ ગેટ્સે બાયોટેક સહયોગ, ભારતના નવીનતા પ્રોત્સાહનમાં ખાનગી ક્ષેત્રની ભૂમિકા અંગે ચર્ચા કરી

બંનેએ બાયોટેક સ્ટાર્ટઅપ્સ, ગ્લોબલ હેલ્થ ઇનોવેશન ઇન ઇન્ડિયા પર ચર્ચા કરી

ટેકનોલોજી સંચાલિત સહયોગને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક અને પરોપકારી બિલ ગેટ્સ, જે હાલમાં ભારતની મુલાકાતે છે, તેમણે કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહની મુલાકાત લીધી હતી અને ભારતના ઇનોવેશનમાં વેગ અને બાયોમેન્યુફેક્ચરિંગ વૃદ્ધિમાં ખાનગી ક્ષેત્ર અને સ્ટાર્ટઅપની ભાગીદારીનો વિસ્તાર કરવા વિસ્તૃત ચર્ચા કરી હતી.

બંને પક્ષના પ્રતિનિધિમંડળોની સહાયથી યોજાયેલી આ બેઠકમાં જનીન ચિકિત્સા, રસી નવીનીકરણ, બાયોટેકનોલોજી ઉત્પાદન અને ભારતની વિકસી રહેલી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં પ્રગતિને આવરી લેવામાં આવી હતી.

ડૉ. જિતેન્દ્ર સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં બાયોટેક નવીનતાઓમાં ઉછાળો જાેવા મળ્યો છે, જેને બાયો ઈ૩ – અર્થતંત્ર, રોજગાર અને પર્યાવરણ માટે બાયોટેકનોલોજી જેવી નીતિઓ દ્વારા સમર્થન મળ્યું છે.

તેમણે ભારતની જૈવ-ક્રાંતિને આગળ ધપાવવામાં ખાનગી ખેલાડીઓ અને સ્ટાર્ટઅપ્સની વધતી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. જેમાં બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ (બીઆઇઆરએસી) જેવી માળખાગત વ્યવસ્થાઓ સહયોગને પ્રોત્સાહન આપે છે.

બિલ ગેટ્સે ભારતની બાયોટેક પ્રગતિની પ્રશંસા કરી હતી. તેમજ રસી વિકાસમાં તેના નેતૃત્વને સ્વીકાર્યું હતું, જેમાં એચપીવી અને કોવિડ -૧૯ રસીઓ તરફ દોરી ગયેલી ભાગીદારીનો પણ સમાવેશ થાય છે. તેમણે ટ્યુબરક્યુલોસિસ અને મેલેરિયા જેવા રોગોનો સામનો કરવા માટે ભારતના પ્રયાસોને ટેકો આપવા માટે પણ રસ દાખવ્યો હતો અને જણાવ્યું હતું કે, ભારતની સંશોધન પ્રણાલી વૈશ્વિક સ્વાસ્થ્ય પ્રગતિ માટે પુષ્કળ તકો પ્રસ્તુત કરે છે.

ચર્ચાનો મુખ્ય વિષય હતો ભારતની બાયોટેક્નોલૉજી સ્ટાર્ટઅપમાં તેજી. કારણ કે આ ક્ષેત્રમાં અત્યારે ૧૦૦૦૦થી વધારે સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. ડો. જિતેન્દ્રસિંહે ધ્યાન દોર્યું હતું કે તેમાંથી ૭૦% તબીબી અને આરોગ્ય બાયોટેક પર કેન્દ્રિત છે. જ્યારે બાકીના કૃષિ, પર્યાવરણ અને ઔદ્યોગિક બાયોટેકનોલોજીમાં ફાળો આપે છે. તેમણે આ નવીનતાઓને વધારવાની સરકારની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. જેમાં ભંડોળમાં વધારો થયો હતો અને ઝડપી વ્યાપારીકરણને સક્ષમ બનાવવાનાં ઉદ્દેશ સાથે નીતિગત પગલાં લેવામાં આવ્યાં હતાં.

ગેટ્સ અને ડૉ. જિતેન્દ્ર સિંહે ગિફ્ટ સિટી મારફતે ભારતીય બાયોટેક સ્ટાર્ટઅપ્સમાં પ્રત્યક્ષ રોકાણની તકો પણ શોધી હતી. જે વૈશ્વિક રોકાણને સરળ બનાવવા માટે રચાયેલ નાણાકીય કેન્દ્ર છે. ગેટ્સે નોંધ્યું હતું કે, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન મુખ્યત્વે પરોપકારી ક્ષેત્રમાં કામ કરે છે. પરંતુ નવા નાણાકીય માળખાનો લાભ લેવાથી આશાસ્પદ ભારતીય સ્ટાર્ટઅપ્સમાં સીધું રોકાણ કરી શકાય છે.

ભારત તેની બાયોટેક્નોલૉજી વૃદ્ધિને વેગ આપી રહ્યું છે. ત્યારે ડૉ. જિતેન્દ્રસિંગે આ ક્ષેત્ર સતત વિકસતું રહે તે સુનિશ્ચિત કરવા જાહેર-ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવા પર સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવાની પુષ્ટિ કરી હતી. સંશોધન અને વિકાસના વધતા ભંડોળ અને આંતરરાષ્ટ્રીય સહયોગને કારણે ભારત જૈવ પ્રૌદ્યોગિકી નવીનીકરણ માટે વૈશ્વિક કેન્દ્ર બનવા માટે સજ્જ છે.