International

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના: અમદાવાદમાં થયેલી દુ:ખદ ઘટના પર વિશ્વના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

૧૨ જૂન ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ પર અનેક અગ્રણી વિશ્વ નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી અને આ અકસ્માતને ‘હૃદયદ્રાવક‘ અને ‘વિનાશક‘ ગણાવ્યો હતો. ૨૪૨ મુસાફરોને લઈને આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગઈ હતી. ઘટનાના કલાકો પછી, પુષ્ટિ થઈ હતી કે ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોના મોત થયા છે. ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. દરમિયાન, જર્મની, ચીન, રશિયા અને ફ્રાન્સ સહિત ઘણા દેશોએ આ વિનાશક ઘટના બાદ ભારત સાથે એકતા વ્યક્ત કરી હતી.

યુકેના પીએમ કીર સ્ટારમરની પ્રતિક્રિયા

યુકેના પીએમ કીર સ્ટારમર આ દુર્ઘટના પર પ્રતિક્રિયા આપનારા પ્રથમ વિશ્વ નેતાઓમાંના એક હતા. લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ, જેમાં ઘણા બ્રિટિશ નાગરિકો સવાર હતા, તેના ક્રેશ પર પ્રતિક્રિયા આપતા, સ્ટાર્મરે દ્રશ્યોને વિનાશક ગણાવ્યા અને ઘટના પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો. “પરિસ્થિતિ વિકસે તેમ મને અપડેટ રાખવામાં આવી રહ્યો છે, અને આ ખૂબ જ દુ:ખદ સમયે મારા વિચારો મુસાફરો અને તેમના પરિવારો સાથે છે,” સ્ટાર્મરે ઉમેર્યું.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પ્રતિક્રિયા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને “ઊંડી સંવેદના” પાઠવી. પુતિને કહ્યું, “અમદાવાદ એરપોર્ટ પર વિમાન દુર્ઘટનાના દુ:ખદ પરિણામો પ્રત્યે કૃપા કરીને મારી ઊંડી સંવેદના સ્વીકારો.” તેમણે ઉમેર્યું, “કૃપા કરીને માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે મારી સહાનુભૂતિ અને સમર્થન આપો અને દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી મારી ઇચ્છા વ્યક્ત કરો.”

યુરોપિયન કમિશનના પ્રમુખની પ્રતિક્રિયા

યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને આ ઘટનાને ‘દુ:ખદ‘ ગણાવી. “અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાથી ભારત તરફથી હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. આ ભયંકર નુકસાન પર શોક વ્યક્ત કરનારા પરિવારો અને પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના. અમે તમારા દુ:ખમાં સહભાગી છીએ.
પ્રિય @narendramodi, યુરોપ આ દુ:ખની ઘડીમાં તમારી અને ભારતના લોકો સાથે એકતામાં ઉભું છે,” લેયેને ઠ પર એક પોસ્ટમાં કહ્યું.

યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીની પ્રતિક્રિયા

યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેમની સંવેદના ભારત, યુકે, પોર્ટુગલ અને કેનેડામાં પીડિતોના સંબંધીઓ સાથે છે. ઠ પર શેર કરાયેલા એક નિવેદનમાં, ઝેલેન્સકીએ કહ્યું, “ભારતમાં પેસેન્જર વિમાન દુર્ઘટનાના ભયાનક સમાચાર. આ દુ:ખદ દિવસે પ્રધાનમંત્રી @narendramodi અને સમગ્ર ભારતના લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. અમારા વિચારો ભારત, યુકે, પોર્ટુગલ અને કેનેડામાં રહેતા તમામ પીડિતોના સંબંધીઓ અને નજીકના લોકો સાથે છે. આ દુ:ખદ દિવસે અમે તમારા આઘાત અને દુ:ખમાં સહભાગી છીએ. અમે બધા શક્ય તેટલા વધુ લોકોના જીવ બચાવવા માટે પ્રાર્થના કરીએ છીએ અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની ઇચ્છા રાખીએ છીએ.”

પાકિસ્તાનના પીએમ શેહબાઝ શરીફની પ્રતિક્રિયા

પાકિસ્તાનના પીએમ શેહબાઝ શરીફે અમદાવાદ વિમાન દુર્ઘટના પર એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે લખ્યું છે કે, “આજે અમદાવાદ નજીક એર ઇન્ડિયાના વિમાનના દુ:ખદ અકસ્માતથી હું દુ:ખી છું. આ મોટી ખોટથી પ્રભાવિત પરિવારો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમારા વિચારો અને પ્રાર્થનાઓ આ હૃદયદ્રાવક દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકો સાથે છે.”

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના

અહીં એ નોંધવું જોઈએ કે ગુરુવારે અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન AI-૧૭૧ સરદાર વલ્લભભાઇ પટેલ અમદાવાદ એરપોર્ટ પાસે ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું. ફ્લાઇટમાં કુલ ૨૩૦ મુસાફરો અને ૧૨ ક્રૂ સભ્યો હતા. એર ઇન્ડિયાની ફ્લાઇટ બોઇંગ ૭૮૭-૮ ટ્વીન જેટ હતી. પોલીસ કંટ્રોલ રૂમ અનુસાર, એર ઇન્ડિયાની ફ્લાઇટ છૈં ૧૭૧ લંડન જઈ રહી હતી. અકસ્માત સ્થળે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને ફાયર ટેન્ડર ઘટનાસ્થળે દોડી ગયા હતા. માહિતી મુજબ, વિમાનમાં ૧૬૯ ભારતીય નાગરિકો, ૫૩ બ્રિટિશ નાગરિકો, ૧ કેનેડિયન નાગરિક અને ૭ પોર્ટુગીઝ નાગરિકો હતા.