સુરતમાંથી પસાર થતી ખાડી બંને કાંઠે વહેતી થતાં લોકોની ચિંતામાં વધારો
સુરત જિલ્લામાં પડેલા વરસાદના કારણે જિલ્લાના કેટલાક વિસ્તારનું પાણી સુરતમાંથી પસાર થતી ખાડીમાં આવે છે અને તેના કારણે મીઠીખાડી નું લેવલ પોણા ૮ મીટર થતા લો લાઈન એરિયામા ખાડી ના પાણી ભરાવાનું શરૂ થયું છે. આ ઉપરાંત ખાડી કિનારે આવેલા જા ચોક, નુરે ઇલાહી નગર, વામ્બે આવાસ, કમરૂનગર સંજયનગર માં વરસાદી પાણી સાથે ખાડીના પાણીનો ભરાવો થયો છે. હજી પણ શહેર સાથે જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે તેના કારણે ખાડી પુર ની આશંકા થઈ રહી છે જેના કારણે ખાડી કિનારે આવેલા પાલિકાના તમામ ઝોનને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
સુરતમાં રવિવારે માત્ર બે થી અઢી ઇંચ પડેલા વરસાદ સામે પાલિકાની ડ્રેનેજ સિસ્ટમ ફેલ થઈ ગઈ છે. આજે વરસાદના કારણે સુરત નવસારીને જાેડતા ભેસ્તાન રોડ પર નદી વહી, કતારગામ, ડિંડોલી, વીઆઈપી રોડ સહિત અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
જાેકે, આટલા વરસાદમાં પણ પાલિકાની ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ ગઈ હતી અને સામાન્ય વરસાદમાં પાણીનો નિકાલ ન કરી શકતા પાલિકાની ડ્રેનેજ સિસ્ટમ સુરતીઓ માટે ફરી એક વખત વિલન સાબિત થઈ છે. લાંબો સમય સુધી પાણીનો ભરાવો થતાં લોકોમાં પાલિકાની કામગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
તેમજ સુરતમાં વરસાદ પડ્યો હતો જેમાં સુરત અને નવસારીને જાેડતા ભેસ્તાન ના મુખ્ય રોડ પર નહેર વહેતી હોય તેવી રીતે પાણીનો ભરાવો થયો હતો. આ પહેલાં પાલિકાએ વધુ વરસાદ હોવાથી પાણીનો નિકાલ થતો નથી તેવી વાત કરી હતી પરંતુ આજે તો બે થી અઢી ઇંચ વરસાદ માં જ ભેસ્તાન મુખ્ય રોડ પર રેલ આવી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ પાણીમાં મોટા વાહનો પણ માંડ પસાર થતા હતા. નાના વાહનો પસાર થવાનો પ્રયાસ કરવામાં આવતો હતો જેમાં મોટા ભાગના વાહનો બંધ થઈ જતા હતા.