Gujarat

કચ્છના માંડવીમાં જામનગર NCCના 594 કેડેટ્સ પેરાસેલિંગ

કચ્છના માંડવી ખાતે 14 થી 23 જાન્યુઆરી, 2026 દરમિયાન આયોજિત રાજ્યકક્ષાના સંયુક્ત વાર્ષિક કેમ્પમાં જામનગર એનસીસી ગ્રુપના 594 આર્મી અને નેવી કેડેટ્સ પેરાસેલિંગની તાલીમ લઈ રહ્યા છે. 36 ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા આયોજિત આ સાહસિક તાલીમનો ઉદ્દેશ્ય કેડેટ્સમાં નેતૃત્વ, ટીમવર્ક, શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવાનો છે.

ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારી (સેવાનિવૃત્ત) ગ્રુપ કેપ્ટન એન.એસ. શોકીનના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ, પ્રમાણિત ટ્રેનર્સ કેડેટ્સને પેરાસેલિંગના મૂળભૂત સિદ્ધાંતોનો પરિચય કરાવી રહ્યા છે.

આ તાલીમમાં સલામતીના પગલાં, પેરાસેલિંગના સાધનોનું સંચાલન અને હવાઈ નેવિગેશનનો સમાવેશ થાય છે. આ અનુભવ કેડેટ્સને ડરને દૂર કરવા, તેમની મર્યાદાઓનું પરીક્ષણ કરવા અને માંડવીના દરિયાકિનારા ઉપર ઉડાન ભરી આત્મવિશ્વાસ વધારવાની અમૂલ્ય તકો પૂરી પાડે છે.

પેરાસેલિંગ તાલીમ કેડેટ્સના આત્મવિશ્વાસ, હિંમત અને અનુકૂલનક્ષમતામાં નોંધપાત્ર વધારો કરી રહી છે. આવી સાહસિક પ્રવૃત્તિઓ એનસીસી તાલીમનો એક અભિન્ન ભાગ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લશ્કરી અને નાગરિક જીવન બંને માટે જરૂરી આત્મનિર્ભરતા, શિસ્ત અને નેતૃત્વના ગુણોને પ્રોત્સાહન આપવાનો છે.

જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર પી. શશીએ કેડેટ્સના પ્રદર્શન અને ઉત્સાહ પર ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આ યુવા કેડેટ્સે અસાધારણ હિંમત અને શિસ્તનું પ્રદર્શન કર્યું છે. પેરાસેલિંગ એ માત્ર એક સાહસિક રમત નથી, પરંતુ નેતૃત્વ, નિર્ણય લેવાની ક્ષમતા અને ભયને દૂર કરવા જેવા મહત્વપૂર્ણ જીવન કૌશલ્યો વિકસાવવા માટેનું એક પ્લેટફોર્મ છે. કેડેટ્સના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા માટે એનસીસી આવી રોમાંચક તકો ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે.”

બ્રિગેડિયર પી. શશીએ કેમ્પમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને ગાર્ડ ઓફ ઓનરની સલામી ઝીલી હતી. તેમણે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર કેડેટ્સને મેડલ્સથી સન્માનિત પણ કર્યા હતા.

પેરાસેલિંગ ઉપરાંત, આ કેમ્પમાં યુદ્ધ દરમિયાન માહિતીનું આદાનપ્રદાન, ડ્રોનનું લોકેશન સ્પોટિંગ-ઓપરેટિંગ, દેશની સુરક્ષા જાળવવા સચેત નાગરિક તરીકેની ફરજો, નાગરિક સંરક્ષણ અને પ્રાથમિક સારવાર જેવી ઉપયોગી તાલીમ પણ કેડેટ્સને આપવામાં આવી રહી છે. આ પ્રવૃત્તિનું સફળ સમાપન એનસીસી ગ્રુપ જામનગર માટે એક સીમાચિહ્નરૂપ છે, જે એનસીસીના સૂત્ર ‘એકતા અને શિસ્ત’ અનુસાર જવાબદાર, આત્મવિશ્વાસુ અને સક્ષમ નાગરિકત્વને પ્રેરિત કરી રાષ્ટ્રીય સેવાના મિશનને સાર્થક કરી રહ્યું છે.