સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રમઝાનના પવિત્ર માસ દરમિયાન એક લોહિયાળ ઘટના સામે આવી છે. જેમાં સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પિતરાઈ ભાઈએ 20 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે. પરિવાર જ્યારે સાથે બેસીને જમી રહ્યો હતો ત્યારે જ આ કરુણ અંજામ આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
યુવકની મામાના ઘરે આવેલી મુલાકાત તેની છેલ્લી મુલાકાત બની મળતી માહિતી મુજબ, 20 વર્ષીય સુલતાન અહેમદ શેખ મૂળ મહારાષ્ટ્રના માલેગાંવનો રહેવાસી હતો. રમઝાન માસની રજાઓ ગાળવા અને તહેવારની ઉજવણી માટે તે થોડા દિવસો પહેલા જ સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા તેના મામાના ઘરે ફરવા માટે આવ્યો હતો. સુલતાન પોતે મજૂરી કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો, પરંતુ તેને ખબર નહોતી કે મામાના ઘરે આવેલી આ મુલાકાત તેની છેલ્લી મુલાકાત બની જશે.
પરિવાર સાથે જમવા બેઠો હતો અને લોહિયાળ ખેલ ખેલાયો ઘટનાની વિગત એવી છે કે રાંદેર વિસ્તારમાં પરિવારના તમામ સભ્યો એકસાથે બેસીને રાત્રિ ભોજન કરી રહ્યા હતા. જમણવાર ચાલી રહ્યો હતો ત્યારે વાતાવરણ એકદમ શાંત હતું. જોકે, જમતી વખતે સુલતાન અહેમદ અને તેના પિતરાઈ ભાઈ અલ્લાહરખા ઉર્ફે આમીર શેખ વચ્ચે કોઈ જૂની કે સામાન્ય વાતને લઈને રજક શરૂ થઈ હતી. આ રજક જોતજોતામાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી.

