*અમરેલી માહિતી ખાતાના સહાયક અધિક્ષકશ્રી બરાળની બઢતી સાથે બદલી થતાં વિદાય સમારંભ યોજાયો*
અમરેલી, તા: ૧૯ જુન ૨૦૨૦
અમરેલી માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા સહાયક અધિક્ષક શ્રી યુ. જે બરાળને દેવભૂમિ દ્વારકા ખાતે અધિક્ષકની જગ્યા પર બઢતી સાથે બદલી થતાં રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામક શ્રી આર. આર. રાઠોડની અધ્યક્ષતામાં તેમજ માહિતી વિભાગના અધિકારી શ્રી જગદીશભાઈ સત્યદેવ, હેતલભાઈ દવે તથા સોનલબેન જોશીપુરાની પ્રેરક ઉપસ્થિતિમાં તેમનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. અમરેલી જિલ્લા માહિતી કચેરીના સ્ટાફમિત્રોની ઉપસ્થિતીમાં વિદાય લઇ રહેલાં શ્રી બરાળને શ્રીફળ, સાકર અને શાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે સંયુક્ત માહિતી નિયામકશ્રીએ જણાવ્યું હતું કે માહિતી કચેરી ખાતે છેલ્લા ત્રણ વર્ષથી સહાયક અધિક્ષકની જગ્યા ઉપર ફરજ બજાવતા હતા. તેમના સમયગાળામાં કરેલ કામગીરી ખુબ જ પ્રશંસનીય છે. સમગ્ર કચેરીના સ્ટાફમિત્રો સાથે એમને સારા વ્યક્તિત્વ તરીકે ચાહના મેળવેલ છે. કોઇપણ વહીવટી કામગીરી કે કપરી પરિસ્થિતીમાં પણ સરળતાથી ઉત્તમ કામગીરી બજાવી છે. તેમણે હરહંમેશ સામેની વ્યક્તિને આત્મસંતોષ થાય તે પ્રકારની ઉત્તમ કામગીરીનું ઉદાહરણ પુરુ પાડયુ છે. દરેક વ્યક્તિઓની લોકચાહના એજ આપણી મૂડી છે. તે મૂડીને લઇને દેવભૂમિ દ્વારકા જઇ રહ્યા છે. ત્યાં પણ સારી કામગીરી નિભાવે અને પોતાનું જીવન સ્વચ્છ, નિરોગી, ઉત્તરોતર પ્રગતી કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
સહાયક અધિક્ષક શ્રી યુ. જે. બરાળએ શાબ્દિક પ્રવચન કરી તમામ સ્ટાફમિત્રોનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે મારી સફળતા પાછળ સ્ટાફના મિત્રો જોડાયેલા છે. અમરેલી જિલ્લામાં ત્રણ વર્ષના સમયગાળામાં મને ઘણું જ શીખવા મળ્યું છે. નિષ્ઠાપૂર્વક કામ કરીએ તો તેની નોંધ અવશ્ય લેવાય છે. તમામ કર્મચારીઓનો પ્રેમ અને સહકાર મળ્યો તે બદલ આભાર વ્યકત કર્યો હતો. આ તકે જિલ્લા માહિતી કચેરીના તમામ અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756


