ગ્રામ્ય વિસ્તારના લોકો પીવાના પાણી અંગે ટોલ ફ્રી નં ૧૯૧૬ ઉપર કે વેબસાઈટ પર ફરિયાદ નોંધાવી શકશે
અમરેલી, તા. ૧ જૂન
ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારની પીવાના પાણીની સમસ્યાના ઝડપી ઉકેલ માટે હેલ્પલાઇન નંબર ૧૯૧૬ સતત કાર્યરત છે. આ હેલ્પલાઇન નંબર પર ચોવીસે કલાક પીવાના પાણી સંદર્ભે ફરિયાદ નોંધાવી શકાય છે. આથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા જેમકે, હેન્ડપંપ રિપેરિંગ, મીની પાઇપ યોજનાનું રિપેરિંગ, વ્યક્તિગત કે જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા પાણી અંગેની કોઈપણ ફરીયાદ અહીં નોંધાવી શકાય છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કે લીકેજ હોય, પાણીની ચોરી થતી હોય અથવા કોઈ વિસ્તારમાં પાણીનો ખોટો વેડફાટ થતો હોય તો તેની પણ ફરિયાદ આ હેલ્પ લાઇન નંબર પર નોંધાવી શકાય છે.
ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓનલાઇન ફરિયાદ નોંધાવવાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વ્યક્તિ ws.gujrat.gov.in વેબસાઈટના new complaint સેક્શન મારફતે નવી ફરિયાદ નોંધાવી શકે છે. જો કોઇ કિસ્સામાં ટોલ ફ્રી નંબર ૧૯૧૬ વ્યસ્ત જણાઇ તો ત્યારે અન્ય નંબર ૧૮૦૦ ૨૩૩ ૩૯૪૪ ઉપર પણ ફરિયાદ નોંધાવી શકાશે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756
