અમરેલી ખાતે વિવિધ વિભાગોમાં કોરોના જનજાગૃતિ અંગે શપથ લેવાયા
કોરોનાને હરાવવા ફરજીયાત માસ્ક, સેનીટાઇઝેશન અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા વહીવટી તંત્રની અપીલ
કોરોનાના ચેપ અટકાવતી તકેદારીઓના સ્વૈચ્છિક ચુસ્ત પાલનના શપથ લેવામાં આવ્યા
અમરેલી, તા: ૧૫ ઓક્ટોબર ૨૦૨૦
કોવિડ સંક્રમણના પ્રસારને રોકવા જનસામાન્યમાં મોટાપાયે જાગૃતિ પ્રસરાવવા સરકાર દ્વારા આરંભાયેલ જન આંદોલન અંતર્ગત અમરેલી જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટર કચેરી સહીત તમામ ના કર્મચારીઓ અને કર્મયોગીઓ દ્વારા કોવિડ સંક્રમણના બચાવ સંબંધિત તકેદારીઓનું ચુસ્ત પાલન કરવાના અને કોવિડ જનજાગૃતિના શપથ લીધા હતા.
જિલ્લા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ-કર્મચારીઓએ કોરોના મહામારીના ફેલાવાને રોકવા અંગે લોકોમાં જાગૃત્તિ આવે તે માટે પ્રયાસો કરવા, માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહી નીકળવા, દરેકથી ઓછામાં ઓછું ૬ ફૂટ નું અંતર જાળવવા,વારંવાર સાબુથી હાથ ધોવા કે સેનેટાઇઝ કરતા રહેવા,પોતાની તથા સ્વજનોની રોગપ્રતિકારક શકિત વધારવા આયુષની ઉપચાર પધ્દ્રતિઓ અપનાવવા અને યોગ- વ્યાયામ ઇત્યાદિથી જીવનશૈલી સુધારવા, પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી સામેની લડાઈ હજી પૂરી થઈ નથી અને જરા પણ બેદરકાર રહેવાની કિંમત સંક્રમિત થઈને ચૂકવવી પડે તેવી સ્થિતિ છે ત્યારે સમાજના અગ્રણીઓ-આગેવાનો, અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા સંક્રમણ સામેની તકેદારીઓના ચુસ્ત પાલન અંગેની શપથનો કાર્યક્રમ લોકોને જરૂરી પ્રેરણા અને બળ પૂરુ પાડનાર બની રહેશે. આ તકે ઉપસ્થિત સૌ અધિકારીઓ-કર્મચારીઓને આ શપથ અનુસાર અન્યો માટે કોરોના સંબંધિત સાવચેતીઓના પાલન સંદર્ભે અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવ્યુ હતુ. જન આંદોલનના ભાગરૂપે આજે સમગ્ર જિલ્લામાં સરકારી કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ કોર્પોરેશનો, નિગમો, જિલ્લાના પ્રબુધ્ધ નાગરિકો, ધર્મગુરુઓ, અગ્રણીઓ, મહાજનો અને સમાજના તમામ વર્ગોના લોકોએ જોડાઇને પ્રતિજ્ઞા લીધી હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલ શપથ-પ્રતિજ્ઞા વાંચન કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટરશ્રી એ.બી. પાંડોર સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લાની વિવિધ કચેરીઓમાં કચેરીના વડાની અધ્યક્ષતામાં આ શપથનું મોટાપાયે આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)


