*રાજ્યના કુલ કોરેન્ટાઇન કરેલા લોકો પૈકી ૩૧% તો માત્ર અમરેલી જિલ્લામાં : અમરેલી સૌથી વધુ કોરેન્ટાઇન લોકો ધરાવતો જિલ્લો*
*રાજ્યમાં કુલ ૪.૬૫ લાખ લોકો કોરેન્ટાઇન અને માત્ર અમરેલી જિલ્લામાં ૧.૪૬ લાખથી વધુ લોકો કોરેન્ટાઇન*
*આલેખન: સુમિત ગોહિલ/ રાધિકા વ્યાસ*
કોરોનાની મહામારી વચ્ચે અનેક લોકો મહાનગરોમાંથી સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં પ્રવેશતા લોકોના આરોગ્યની તપાસ કરી તેમને કોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગની વેબસાઈટ ઉપર નજર કરતા તા. ૨૫ મે ના સાંજના આંકડાઓ મુજબ રાજ્યમાં કુલ ૪,૬૫,૩૧૨ લોકોને હોમકોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી માત્ર અમરેલી જિલ્લામાં ૧,૪૬,૭૬૪ લોકો હોમકોરેન્ટાઇનમાં છે. આમ રાજ્યમાં કુલ કોરેન્ટાઇન કરેલા વ્યક્તિઓ પૈકી ૩૧% લોકો તો માત્ર અમરેલી જિલ્લામાં જ છે.
બહારથી આવેલા લોકો પર નજર રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કમિટી પણ બનાવવામાં આવી છે. આ કમિટીમાં સરપંચ, આંગણવાડી વર્કરો, આશાવર્કરો, નગરપાલિકાના સદસ્યો વગેરેની ટીમ બનાવવામાં આવી છે. કોરેન્ટાઇન લોકોની સમયાંતરે આરોગ્ય તપાસ થાય, તેમને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેમજ તેઓ કોરેન્ટાઇનના નિયમોનું ઉલ્લંઘન ન કરે તે બાબતની તકેદારી આ કમિટીના સદસ્યોએ રાખવાની છે.
જિલ્લા બહારથી આવેલાં લોકો જો કોરોનાગ્રસ્ત હશે અને બહાર નીકળશે તો કોરોનાનાં સંક્રમણનું જોખમ વધશે. આ જ કારણોસર વહીવટીતંત્ર દ્વારા લોકોને કોરેન્ટાઇન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી અન્ય જિલ્લામાંથી આવેલા લોકો ૧૪ દિવસ પોતાના ઘરમાં જ રહેશે તો ગ્રીનઝોન અમરેલીમાં કોરોનાનો ભય ઓછો રહેશે. અને જો કોરોના વોરિયર કમિટી દ્વારા કોરેન્ટાઇન લોકો નિયમોના ભંગ કરતા પકડાશે તો તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756
