નવી દિલ્હી,
નવાબ મલિક દરરોજ વાનખેડે પરિવાર પર હુમલા કરી રહ્યા છે. આ જ રીતે તેમણે બીજેપી નેતા મોહિત કંબોજ પર પણ આક્ષેપો કર્યા હતા. તેની સામે મોહિત કંબોજે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં જઈને મલિક સામે ફોજદારી માનહાનિના કેસની અપીલ કરી હતી. તેના પર સુનાવણી કરતા સોમવારે કોર્ટે નવાબ મલિક સામે ફોજદારી માનહાનિનો કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો. આ બાબતે જવાબ આપતાં મોહિત કંબોજે કહ્યું, હું ગયા મહિને મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી નવાબ મલિક વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવા માટે કોર્ટમાં ગયો હતો. તેના પર આજે મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. નવાબ મલિક સામે માનહાનિના કેસમાં ફોજદારી દાવો દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ૯ ઓક્ટોબર અને ૧૧ ઓક્ટોબરે તેમની પ્રેસ કોન્ફરન્સમાં નવાબ મલિકે મારા અને મારા પરિવાર પર ખોટા આરોપો લગાવ્યા હતા. મોહિત કંબોજે કહ્યું કે, નવાબ મલિકે પુરાવા વિના મારા પર આરોપ લગાવીને મને અને મારા પરિવારને બદનામ કર્યો છે. ગયા અઠવાડિયે કોર્ટે મારી અપીલ સાંભળી. પ્રથમ દૃષ્ટિએ મારી સામે ખોટા આરોપો હોવાના કારણે કોર્ટે આ આદેશ આપ્યો છે. આ માટે હું ન્યાયાધીશનો આભાર માનું છું.એનસીપીના નેતા અને મંત્રી નવાબ મલિક દરરોજ સવારે આવે છે, કોઈને કોઈ ટિ્વટ કરે છે અને પ્રેસ કોન્ફરન્સ કરે છે. તેના આ રોજેરોજ નવા ઘટસ્ફોટના કારણે હવે સમજાતું નથી કે આર્યન ખાન ડ્રગ કેસનો ઉકેલ આવી રહ્યો છે કે વધુ જટિલ બની રહ્યો છે. હાલમાં બે કેસમાં કોર્ટે નવાબ મલિકને ઝટકો આપ્યો છે. એક, હાઇકોર્ટે સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેના માનહાનિના દાવા પર મંગળવારે જવાબ આપવા જણાવ્યું છે. બીજું, બીજેપીના નેતા મોહિત કંબોજની અરજી પર સુનાવણી કરતા કોર્ટે મલિક સામે ફોજદારી માનહાનિનો કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે. દરમિયાન જ્ઞાનદેવ વાનખેડેએ નવાબ મલિક વિરુદ્ધ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ પણ કરી છે. નવાબ મલિક સામેની ફરિયાદને લઈને વાનખેડે પરિવાર મંગળવારે સાંજે ૫.૩૦ વાગ્યે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળવા જઈ રહ્યો છે.


