નવી દિલ્હી
ઉત્તર પ્રદેશ, હરિયાણા ક્ષેત્રમાં અનેક લોકોની હત્યા કરનારા આરોપી નવીન જાટની યુપી એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નવીને ૨૭ જુલાઈ, ૨૦૨૧ના રોજ રોહતકના ભલૌટ ગામના યુવક રોહિતની હત્યા કરીને ગ્રેટર નોએડા ક્ષેત્રના એક નાળામાં તેની લાશ ફેંકી દીધી હતી. યુપી એસટીએફ અને નોએડા પોલીસે સૂરજપુર ખાતેથી જાેઈન્ટ ઓપરેશન દ્વારા શાતિર સીરિયલ કિલરની ધરપકડ કરી છે. પુછપરછ દરમિયાન આરોપી નવીન જાટે પોલીસ સમક્ષ પોતે અત્યાર સુધીમાં ૧૭ હત્યાઓ કરી હોવાનું અને ‘ગદર’ નામની પોતાની ગેંગ ચલાવતો હોવાનું કબૂલ્યું હતું. આ ગેંગમાં આશરે ૨૦૦ કરતા પણ વધારે ગુનેગારો સામેલ છે અને નવીન પોતાના દુશ્મનોને પાણીમાં ડૂબાડીને મારે છે. એસટીએફના કહેવા પ્રમાણે આરોપીની આ સ્ટાઈલ અન્ય ગુનેગારો કરતા બિલકુલ અલગ છે. તે એટલો શાતિર ગુનેગાર હતો કે, કોઈ પોતાની હત્યા કરશે તેવો ડર લાગે એટલે તાત્કાલિક તેને મારી નાખતો હતો. આરોપીએ સૌથી પહેલા ૨૦૦૭માં હત્યા કરી હતી. નવીન જાટની ક્રિમિનટલ હિસ્ટ્રીમાં એક યુવતીની હત્યાની ઘટના પણ સામેલ છે. પુછપરછ દરમિયાન તેણે ૧૭ હત્યા કર્યાનું કબૂલ્યુ હતું. ખાસ વાત એ છે કે, મોટા ભાગની હત્યામાં તે પોતાના શિકારને પાણીમાં ડૂબાડીને મારી નાખતો હતો જેથી પોલીસને દુર્ઘટના લાગે અને તે સરળતાથી બચી શકે.
