નવી દિલ્હી
હરિયાણા સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે ખેડૂતોની સાથે વાતચીત માટે હરિયાણા સરકારે એક પેનલની પણ રચના કરી છે. જાેકે ખેડૂતોએ વાતચીત કરવાની જ ના પાડી દીધી છે. સમગ્ર મામલામાં ખેડૂત સંગઠનોને પણ પક્ષકાર બનાવવાની સરકારને સુપ્રીમે અગાઉ છુટ આપી હતી હવે તેમને નોટિસ પણ પાઠવવામાં આવી છે અને જવાબ માગવામાં આવ્યો છે. અગાઉ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યારે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે ખેડૂતો દ્વારા હાઇવે બ્લોક કરી દેવા યોગ્ય નથી.દિલ્હી સરહદે કૃષિ કાયદાના વિરોધમાં ઘણા દિવસથી ખેડૂતો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. એવામાં ખેડૂતોને આ સૃથળેથી હટાવવા માટે દાખલ થયેલી પીઆઇએલને લઇને સુપ્રીમ કોર્ટે ૪૩ જેટલા ખેડૂત સંગઠનો પાસેથી જવાબ માગ્યો છે. જેમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત, દર્શન પાલ અને ગુરનામસિંહનો પણ સમાવેશ થાય છે. નોઇડાના રહેવાસી મોનિક્કા અગ્રવાલે એક પીઆઇએલ દાખલ કરી હતી. જેમાં તેણે દાવો કર્યો હતો કે અગાઉ નોઇડાથી દિલ્હી પહોંચવા માટે ૨૦ મિનિટનો સમય લાગતો હતો. હવે ખેડૂતોએ દિલ્હીની બોર્ડર પર ધરણા કરી રહ્યા હોવાથી દિલ્હી પહોંચવામાં બે કલાકનો સમય લાગે છે. જેને પગલે યુપી ગેટ જેવા વિસ્તારોમાં બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.