ભાવનગર
આ બંને જહાજાે તેના અંતિમ બંદરેથી નિકળી અને અલંગ આવતા પૂર્વે પાકિસ્તાનના કરાંચી આઉટર પોર્ટ લીમીટ (ઓપીએલ)માંથી ઇંધણ અને પ્રોવિઝન મેળવ્યુ હતુ. બાદમાં બંને જહાજ ગુજરાતની જળસીમાથી ૧૦૦ માઇલ દૂર હતા ત્યારે જ સંદેશા વ્યવહારના તમામ સાધનો બંધ કરી દેવામાં આવ્યા હતા. માત્ર સેટેલાઇટ ફોન (થુરાયા)ના ઉપયોગ કરવામાં આવેલા છે. સોમવારે જામનગર કસ્ટમ્સ કમિશનોરેટની પ્રિવેન્ટિવ ટીમ દ્વારા જહાજની ચકાસણી કરવામાં આવેલી છે. જેમાં સી-ગોલ્ડન જહાજ પરથી કોરલ શિપના ડોક્યુમેન્ટ મળ્યા હતા, અને સી-ગોલ્ડનના આઇએમઓ નંબરમાં પણ શંકાઓ જણાતા બંને જહાજના કેપ્ટન અને ૪ ક્રુ મેમ્બરોને ભાવનગર કસ્ટમ્સમાં પુછપરછ માટે લાવવામાં આવ્યા હતા. સેટેલાઇટ ફોનમાં આવેલા સંદેશાઓને ડી-કોડ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત સી-ગોલ્ડન અને કોરલ જહાજના માલીકો એરેબિયન દેશોના અને તેઓના ભાગીદાર પાકિસ્તાની છે. અને તેઓની પાસે શંકાસ્પદ જહાજાેની ફ્લીટ છે જેને ભારતમાં પધરાવવાની પેરવી ચાલી રહી ર્છે આ તમામ જહાજાેના નામ અને નંબરમાં વારંવાર ચેડા કરવામાં આવી રહ્યા હોવાના રિપોર્ટ પણ ગુપ્તચર શાખાઓ પાસે છે. બંને જહાજના કેપ્ટન સહિતના ક્રુ મેમ્બરોના નિવેદનો ડીઆરઆઇ દ્વારા પણ નોંધવામાં આવ્યા છે. અલંગમાં ટુંકા ગાળામાં ૩ જહાજાે પર ગુપ્તચર શાખાની કામગીરીથી સમગ્ર દેશના કાન ચમક્યા છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવેલા બે જહાજાે દ્વારા પાકિસ્તાનના કરાંચી બંદરની સામે ઇંધણ લીધા બાદ ગુજરાતની જળસીમામાં પ્રવેશતા પૂર્વે સંદેશા વ્યવહારના સાધનો બંધ કરી દેવાતા શંકાના વાદળો પ્રગાઢ બન્યા હતા. બંને જહાજાેની પુનઃ ચકાસણી કરવામાં આવી રહી છે. અલંગના પ્લોટ નં.૮૭-એ (ગોહિલવાડ શિપબ્રેકર્સ) દ્વારા ૨૮૩૦ ટનનું જહાજ સી-ગોલ્ડન ખરીદવામાં આવ્યુ છે. અને પ્લોટ નં.૨૮ (ક્રાઉન સ્ટીલ કંપની) દ્વારા ૨૭૬૩ ટનનું શિપ કોરલ ખરીદવામાં આવેલું છે.


