Gujarat

જામનગરમાં ઠેબા ચોકડી નજીક રેતીના ધંધાર્થી યુવાનની હત્યા

હત્યાના બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર ગ્રીનસિટીમાં રહેતા અને મૂળ ખંભાળિયા તાલુકાના ભાતેલના વતની યુવરાજહિં મહોબતસિંહ જાડેજા (ઉ.વ.27) નામના યુવાનને રેતીના ડમ્પરો ચાલતા હોય અને આ ડમ્પરોમાં ડમ્પરના ડ્રાઈવરોની ઈશ્ર્વરસિંહ સતુભા જાડેજાના ડ્રાઈવરો સાથે અવાર-નવાર અદલા-બદલી ચાલતી હતી. જે બાબતે અગાઉ પણ રકઝક અને બોલાચાલી થઈ હતી તેમજ એક વર્ષ પૂર્વે પ્રદિપસિંહ સોઢાનું પાકિટ ઈશ્ર્વરસિંહના મહેતાજી જયપાલસિંહ ચુડાસમા લઇ લીધું હતું. જે બાબતે ઈશ્ર્વરસિંહને અપશબ્દો કહ્યા હતાં. જે બાબતનું મનદુ:ખ રાખી ઈશ્ર્વરસિંહએ પ્રદિપસિંહ અને યુવરાજસિંહને પતાવી દેવાની ધમકી આપી હતી. દરમિયાન ઈશ્ર્વરસિંહ સતુભા જાડેજા અને વિરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજા નામના બન્ને શખ્સોએ પૂર્વ આયોજીત કાવતરુ રચ્યું હતું અને આ કાવતરાના ભાગરૂપે જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલા ગોકુલ વે બ્રિજ પાસે યુવરાજસિંહ કાયમ બેસતા હતાં.

દરમિયાન રવિવારે સાંજના ઈશ્ર્વરસિંહ સતુભા જાડેજાએ અગાઉથી નકકી કરેલા પ્લાન મુજબ તેના ભાઈને ગોકુલ વે બ્રિજ પાસે રાખ્યો હતો અને યુવરાજસિંહ સહિતના લોકો ત્યાં આવી ગયા હોવાની જાણ થતા ઈશ્ર્વરસિંહ તેની જીજે-10-ડીએ-0056 નંબરની સ્વીફટ કાર લઇને ત્યાં આવી પહોંચ્યા હતાં અને ખુરશી ઉપર બેસેલા યુવરાજસિંહ સાથે કાર અથડાવી પછાડી દીધા હતાં. ત્યારબાદ ઈશ્ર્વરસિંહે તેની ગાડીમાંથી છરી કાઢી યુવરાજસિંહના ગળામાં જીવલેણ ઘા મારી ઢીમ ઢાળી દીધું હતું તેમજ વિરભદ્રસિંહએ આવીને પ્રદિપસિંહ ઉપર છરી વડે હુમલો કર્યો હતો ઉપરાંત મૃતકના ભાઇ ગીરીરાજસિંહ ઉપર પણ છરીના ઘા ઝીંકયા હતાં જેમાં ગીરીરાજસિંહને હાથમાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ હુમલામાં ઘવાયેલા વ્યકિતઓને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં યુવરાજસિંહ જાડેજાનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું તેમજ અન્ય બે વ્યક્તિઓને સારવાર આપવામાં આવી હતી.

બનાવની જાણ થતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હોસ્પિટલે દોડી ગયા હતાં અને મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી. ઉપરાંત બનાવની જાણ થતા જિલ્લા પોલીસવડા દિપન ભદ્રન અને એલસીબીનો સ્ટાફ તાત્કાલિક બનાવસ્થળે દોડી ગયો હતો અને તપાસ આરંભી હતી તેમજ બનાવમાં પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે મૃતકના ભાઈ ગીરીરાજસિંહ મહોબતસિંહ જાડેજાના નિવેદનના આધારે ઈશ્ર્વરસિંહ સતુભા જાડેજા અને વિરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજા નામના બન્ને શખ્સો વિરૂધ્ધ પૂર્વ આયોજીત કાવતરુ રચી હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

રીપોર્ટર : વિશ્વનાથ જોશી
જામનગર

IMG-20210524-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *