ગાંધીનગર: આણંદ લોટીયા ભાગોળ ખાતે આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ ગંદકીના મુદ્દે કાંતિલાલ પરમારની ફરિયાદ કરી હતી. જેના આધારે રાષ્ટ્રીય અનુસૂચિત આયોગ દ્વારા આંણદ નગરપાલિકાના ચીફ ઓફિસરને નોટિસ પાઠવી એક મહિનામાં જવાબ માંગવામાં આવ્યો હતો. આ બાબતે આણંદ નગરપાલિકાના ચીફ ઓફીસર દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, અમદાવાદને અહેવાલ મોકલ્યો છે. જેમાં જણાવ્યું છે કે, ડો. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિની આજુબાજુમાં સફાઇના મુદ્દે નગરપાલિકા સભાન છે અને રહેશે.
આણંદનગરપાલિકાના ચીફ ઓફિસરની સહીથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં નિયમિત પણે સફાઈ તથા ઘરે ઘરે જઈ કચરો ઉઘરાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે પરંતુ કોઈ ઈસમો દ્વારા જાણીબુઝીને નગરપાલિકાને બદનામ કરવાના ઇરાદાથી આ કૃત્ય કરી સમાચાર પત્રમાં છપાવેલ છે. મૂર્તિની આજુબાજુ રોજેરોજ સફાઈ કરવામાં આવે છે. જે અંગેના તારીખ વાઇસ કામગીરીના ફોટોગ્રાફ રજૂ કરવામાં આવેલ છે. આ મૂર્તિની આજુબાજુ રેલિંગ નાખવા અંગે નગરપાલિકા કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરેલ છે આગામી દિવસોમાં તે કામગીરી પૂર્ણ કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સ્થિત માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, મુખ્યમંત્રી, અને જિલ્લા કલેક્ટર સમક્ષ કરેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ આણંદ શહેરમાં લોટીયા ભાગોળ ખાતે મુકવામાં આવેલી રાષ્ટ્રીય નેતા, બંધારણના ઘડવૈયા, “ભારત રત્ન” ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખુબ જ ખરાબ સ્થિતિમાં છે. કચરાના ઢગલાં અને પ્રાણીઓના મળ-મૂત્ર તેમ જ ચારેબાજુ ગંદકીની વચ્ચે ડો.બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને રાખવામાં આવેલ હતી, જ્યાં આગળ-પાછળ ફેન્સીંગ કે રેલિંગ કરેલ નથી અને મૂર્તિની ખરાબ દુર્દશા જોવા મળેલ છે.
ડો. બાબા સાહેબ આંબેડકરની મૂર્તિની આવી હાલતમાં દુર્દશા જોઈ લોકોની લાગણી દુભાઇ હતી. આ અંગે તાત્કાલિક પગલાં ભરી પ્રતિમાની આજુબાજુની ગંદકી હટાવવામાં આવે, ત્યાં રેલિંગ નાખી વાયરથી ફેન્સીંગ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. આના માટે જવાબદાર તથા બેદરકારી દાખવનારા આંણદ નગર પાલિકાના જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો સામે ખાતાકીય તપાસ કરીને આઈ.પી.સી.અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવા અને તેમને તાત્કાલિક હોદ્દા પરથી તાત્કાલિક સસ્પેન્ડ કરવા દાદ માંગી હતી.
આ બાબતે અને રજૂઆતના અનુસંધાને રાષ્ટ્રિય અનુસૂચિત જાતિ આયોગ અમદાવાદ દ્વારા આણંદ જિલ્લા કલેક્ટર અને આંણદ નગરપાલિકાના ચીફ ઓફિસરને નોટિસ પાઠવી હતી. જેમાં જણાવ્યું હતું કે આયોગને બંધારણના આર્ટિકલ 338 મુજબ જે સતા આપવામાં આવેલી છે તેનો ઉપયોગ કરી તપાસ કરવાનો નિર્ણંય કરેલ છે, આ અંગેનો ત્રીસ દિવસમાં આપના સહી સાથે અથવા રૂબરૂ હાજર થઇ અથવા સંચાર માધ્યમ દ્વારા આ મુદ્દે કરેલ કાર્યવાહીનો રિપોર્ટ અત્રેની કચેરીએ મોકલી આપવા સૂચના આપી હતી. આ સૂચનાના પગલે ચીફ ઓફીસર તરફથી આયોગ સમક્ષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે.