અમદાવાદ
મુંબઈમાં ૩૩ દાતાઓએ ૫૭૭ કરોડનું દાન કરતાં તે દેશમાં સૌથી પહેલા સ્થાને છે. દેશની આર્થિક રાજધાનીમાં સૌથી વધુ દાન મુકેશ અંબાણી અને પરિવારે જ કર્યું છે. આ યાદીમાં અમદાવાદ છઠ્ઠા સ્થાને આવે છે. ૫ દાતાઓએ ૧૩૦ કરોડનું દાન કર્યું છે. સૌથી વધુ દાન ગૌતમ અદાણી અને પરિવારના નામે છે. હુરુનની ૨૦૨૦ની યાદી મુજબ અમદાવાદમાં ૮૮ કરોડનું દાન થયું હતુ઼ં જેમાં આ વર્ષે ૪૨ કરોડનું વધુ દાન થયું છે.દેશના ૧૦૦ દાનવીરોઓએ પરોપકારી કાર્યોમાં કુલ ૧૪૭૬૪ કરોડનું દાન કર્યું છે જેમાં ૧૩ ગુજરાતી દાનવીર ઉદ્યોગપતિઓએ ૧૧૨૨ કરોડનું દાન કર્યું છે. ગુજરાતી અમીરોનું યોગદાન સાડા સાત ટકા જેટલું છે. બીજી તરફ થોડા સમય અગાઉ જાહરે થયેલા અમીરોની સંપત્તિના આંકડો પ્રમાણે સૌથી અમીર ગુજરાતીઓ એક વર્ષમાં ૮ લાખ કરોડથી વધુ કમાયા હતા. કમાણીના આંકડાની સરખામણીએ સૌથી અમીર ગુજરાતીઓએ એક ટકા રકમનું પણ દાન કર્યું નથી. ‘એડલગિવ હુરુન ઈન્ડિયા ફિલૅન્થ્રપી લિસ્ટ ૨૦૨૧’ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં અઝીમ પ્રેમજીએ સૌથી વધુ ૯૭૧૩ કરોડ રૂપિયા (દૈનિક અંદાજે રૂપિયા ૨૭ કરોડ)નું દાન કર્યું છે. શિવ નાદર ૧૨૬૩ કરોડ સાથે બીજા સ્થાને જ્યારે દેશના સૌથી વધુ શ્રીમંત મુકેશ અંબાણી આ યાદીમાં ૫૭૭ કરોડના દાન સાથે ત્રીજા સ્થાને છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીએ ગયા વર્ષની તુલનામાં ૨૬ ટકા વધારે દાન કર્યું છે, તો ગૌતમ અદાણીએ ૪૮ ટકા વધુ દાન કરીને ટોપ ૧૦ની યાદીમાં સ્થાન મેળવ્યું છે. ટોરેન્ટના સુધીર મહેતા અને સમીર મહેતાએ ગયા વર્ષે ૮૧ કરોડનું દાન કર્યું હતું અને દાનવીરોની યાદીમાં ૧૦મા સ્થાને હતા. આ વર્ષે તેમના દાનની રકમ ૯૮ કરોડ છે પણ તેઓ ટોપ ૧૦ની યાદીમાંથી બહાર થઈ ગયા છે અને ૧૨મા સ્થાને પહોંચી ગયા છે. લાર્સન એન્ડ ટ્રુબો ગ્રૂપના એએમ નાયકે ૧૧૨ કરોડનું દાન કરતાં તેઓ આ યાદીમાં ૧૧મા સ્થાને છે. નોંધનીય છે કે, નાયકને દેશના ‘સૌથી ઉદાર પ્રોફેશનલ મેનેજર’ ગણવામાં આવ્યા છે. આ ઉપરાંત, એશિયન પેઇન્ટ્સના અશ્વિન દાણીએ ૧૫ કરોડનું દાન કરી દિલીપ સંઘવી સાથે ૫૫મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એલેમ્બિક ફાર્માના ચિરાયુ અમીને ૧૨ કરોડનું દાન કર્યું છે અને તેઓ હારુનની યાદીમાં ૬૨મા સ્થાને છે. એઆઇએ એન્જિનિયરિંગના ભદ્રેશ શાહ ૭ કરોડ દાન સાથે ૮૭મા સ્થાને છે.
