મુંબઈ,
મહારાષ્ટ્ર પોલીસમાં કથિત ગેરરીતિમાં મની લોન્ડરીંગની તપાસ સંબંધે સસ્પેન્ડ થયેલા પોલીસ કમિશનર પરમબીર સિંહનું નિવેદન એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)એ રેકોર્ડ કર્યું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. ત્રીજી ડિસેમ્બરે દક્ષિણ મુંબઈની એજન્સીની ઓફિસમાં આ નિવેદન રેકોર્ડ કરાયું હતું. સિંહની પૂછપરછ પાંચ કલાક સુધી ચાલી હતી. સિંહને માજી ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે કરેલા આરોપો સહિત કેસની વિવિધ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી. સિંહને ઈડીએ ભૂતકાળમાં પાંચ વાર સમન્સ બજાવ્યા હતા પણ તેઓ હાજર થયા નહોતા. આ વખતે ફરી તેમને બોલાવવામાં આવી શકે છે. હાલમાં જ ૧૯૮૮ના બેચના આઈપીએસ અધિકારી સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમની સામે ખંડણીનો આરોપ કરવામાં આવ્યો છે. આ પ્રકરણે દેશમુખ અને તેમના સહયોગીની ઈડીએ ધરપકડ કરી છે. સિંહે દેશમુખ સામે બાર માલિકો પાસેથી રૂ.૧૦૦ કરોડની વસૂલી કરવાનો પોલીસ અધિકારીઓને ટાર્ગેટ આપ્યો હોવાનો આરોપ કર્યો હતો. સિંહને સુપ્રીમ કોર્ટે ધરપકડ સામે કામચલાઉ સંરક્ષણ આપ્યું છે.માજી મુંબઈ પોલીસ કમિશનર ભ્રષ્ટાચારને ઉજાગર કરનારા ગણી શકાય નહીં કેમકે તેમની બદલી થયા પછી તેમણે માજી ગૃહપ્રધાન અનિલ દેશમુખને સંડોવતા ભ્રષ્ટાચાર સામે બોલવાનું પસંદ કર્યું હતું, એમ મહારાષ્ટ્ર સરકારે સિંહની અરજી ફગાવવાની દાદ સાથે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી. કોર્ટે ૨૨ નવેમ્બરે સિંહને તેમની સામેના ફોજદારી કેસોમાં ધરપકડ સામે રક્ષણ આપ્યું હતું અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે પોલીસ અધિકારીઓ અને ખંડણીખોરો સામે કેસ નોંધાવવા બદલ તેમની પજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય માણસોની વાત જ શું કરવી. સીબીઆઈ તપાસ અને રાજ્ય સરકાર દ્વારા કોઈ આકરા પગલાં સામે રક્ષણ માગતી સિંહની અરજીને ફગાવવાની દાદ સાથે મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું નોંધાવ્યું હતું. જેમાં ગૃહ ખાતાના સંયુક્ત સચિવ વેંકટેશ માધવે સિંહને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારા કહી શકાય નહીં એમ જણાવ્યું હતું. ૮૩ પાનાના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે તાજેતરમાં સસ્પેન્ડ કરાયેલા સિંહ પોતાની સામેની ફોજદારી તપાસને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોર્ટે આ પ્રકરણે તપાસ એજન્સી પર તપાસ છોડી દેવી જાેઈએ. સિંહ સામે વિવિધ તપાસ ચાલુ છે અને હાથ ધરાઈ રહી છે. અરજદાર સિંહ પોતાના હાથ નીચેના ઈન્સ્પેક્ટર સચિન વાઝે પર નિયંત્રણ રાખવા કે નિરીક્ષણ કરવામાં નિષ્ફળ ગયા હતા કે કેમ એની પણ તપાસ કરવાની બાકી છે. રાજ્ય સરકારે ઓલ ઈન્ડિયા સર્વિસીસ (ડિસીપ્લીન એન્ડ અપીલ) નિયમો હેઠળ સિંહ સામે શિસ્તનીકાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપી હોવાનું પણ સોગંદનામામાં જણાવાયું છે. સિંહે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટીવ ટ્રિબ્યુનલ સામે ખાતાકીય તપાસને પડકારવી જાેઈએ. બોમ્બે હાઈકોર્ટે યોગ્ય રીતે તેમની અરજી ફગાવી હતી.


