સનખડા-માણેકપુર ગામને જોડતો રસ્તો સીસી રોડ બનાવવા માંગ..
.
ઊનાના સનખડાથી માણેકપુર ગામને જોડતો રસ્તો હાલ બિસ્માર હાલતમાં મુકાયેલ છે. ત્યારે ચોમાસા દરમ્યાન સનખડા થી માણેકપુર અને માણેકપુરથી સનખડા આવવા જવા માટે બન્ને ગામના લોકોને ખુબ મુશ્કેલી પડી રહી છે. ચોમાસાના વરસાદના કારણે રસ્તા પર ખાડા તેમજ કિચડનું સામ્રાજ્ય જોવા મળે છે. જેથી બન્ને ગામના લોકોને આવવા જવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમજ બન્ને ગામોના લોકો ધંધા અર્થે અને વેપારની દ્રષ્ટીએ પણ એકબીજા સાથે જોડાયેલા હોવાથી માણેકપુર ગામના લોકોને કાયમી સનખડા ગામે અવર જવર થતી હોય છે. તેમજ ખરીદી કરવા માટે મહીલાઓ તથા બાળકો મોટી સંખ્યામાં અપડાઉન કરતા હોય તેઓને ભારે મુશ્કેલીઓ પડતી હોય છે. આ બાબતે અનેકવાર રજુઆત કરી રસ્તો બનાવવા માંગણી કરેલ હોવા છતાં પણ આજદિન સુધી પ્રશ્નનું નિરાકરણ થયેલ નથી. આથી સરકારની કોઇપણ ગ્રાન્ટ માંથી આ રસ્તો સીસી રોડ બનાવવામાં આવે તેવી બન્ને ગ્રામજનોની માંગણી ઉઠી છે. બન્ને ગામોમાં રહેતા લોકોને અતિ જરૂરીયાત વાળો આ રસ્તો ગ્રામજનોની મુશ્કેલીનો અંત આવે તેવી માંગ સાથે તંત્ર દ્વારા તાત્કાલીક આ બન્ને ગામને જોડતો રસ્તો સીસી રોડથી બનાવવામાં આવે તેવી હરપાલસિંહ મસરીભાઇ ઝાલાએ માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર લેખિત રજુઆત કરી માંગણી કરી હતી.
