સાડા ચાર માસ સુધી નિ:શુલ્ક સદાવ્રતનું સંચાલન કરાયું હતું
અંબાજી.
ગુજરાતના પવિત્ર યાત્રાધામ એવા અંબાજી ખાતે આવેલા શ્રી અંબિકા ભોજનાલયમાં માઈભક્તોને નિ:શુલ્ક ભોજન પ્રસાદ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા પ્રશાસન દ્વારા પ્રાયોગિક ધોરણે જય જલીયાણ ફાઉન્ડેશનને સદાવ્રત શરૂ કરવાની તક આપવામાં આવી હતી. જેમાં 14 જુન થી 31 ઓક્ટો. 21 સુધી એટલે કે સાડા ચાર માસના ગાળામાં જલીયાણ સદાવ્રતમાં 8.58 લાખ માઇ ભકતો એ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. જ્યારે માં અંબાને ધરાવવામાં આવતો બાલભોગ અને રાજભોગ જલીયાણ સદાવ્રતમાં બે ટાઈમ બની રહેલી રસોઈમાં ભેળવીને માઈભક્તોને તે ભોજન પ્રસાદ રૂપે પીરસવામાં આવતો હતો. શુદ્ધ અને સાત્વિક ભોજન આરોગીને માઇભકતો સંતોષ વ્યક્ત કરતા હતા. આ સદાવ્રત આજુબાજુના વિસ્તારના આદિવાસી શ્રમિક ભાઈ-બહેનો અને નાના બાળકો માટે આશીર્વાદરૂપ બન્યું હતું. તેઓ યાત્રિકોની સાથે દરરોજના 2500 થી 3000 લોકો બંને સમય ભોજન પ્રસાદનો લાભ લેતા હતા. જય જલીયાણ ફાઉન્ડેશનના પ્રમુખ અને ટ્રસ્ટીઓ એ શ્રી અંબાજી મંદિર ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ”અમને જલીયાણ સદાવ્રત શરૂ કરી સેવા કરવાની તક આપવામાં આવી હતી. જેના થકી માઈભક્તોને શુદ્ધ અને સાત્વિક ભોજન અમે પિરસ્યું હતું.જ્યારે સાડા ચાર માસના સમયમાં 8.58 માઇભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લેતા મંદિર ટ્રસ્ટ અને યાત્રિકોને કરવા પડતા ખર્ચ માં અંદાજે 2.60 કરોડ નો બચાવ થયો છે. જ્યારે ભવિષ્યમાં પણ બનાસકાંઠા જિલ્લા પ્રશાસન અને મંદિર ટ્રસ્ટ સેવા કરવાની તક આપશે તો અમે તેના માટે તત્પર છીએ.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


