Gujarat

અમદાવાદમાં કોરોના વેક્સીનનો જથ્થો પહોચતા નીતિન પટેલે શું કહ્યું?

અમદાવાદ એરપોર્ટ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના વેક્સીનના પ્રથમ જથ્થાનો સ્વીકાર કર્યો હતો. આ દરમિયાન પત્રકાર પરિષદમાં નીતિન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

નીતિન પટેલે કહ્યુ કે, “સમગ્ર દેશ જેની રાહ જોઇ રહ્યો છે તે, કોરોના વેક્સીનનો જથ્થો વડાપ્રધાન મોદી, ભારત સરકારે મોકલી આપ્યો છે. પ્રથમ તબક્કાનો રાઉન્ડ 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં શરૂ થઇ રહ્યો છે તેના માટેનો વેક્સીનનો જથ્થો પુરો પાડવાની ભારત સરકારે શરૂઆત કરી છે, જેના ભાગરૂપે આજે ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારે પૂણેથી મોકલેલા 2 લાખ 76 હજાર વેક્સીનનો પ્રથમ તબક્કાનો જથ્થો સ્વીકાર્યો છે. પ્રજાની લાગણી, જરૂરીયાત પુરી થાય તે માટે વડાપ્રધાને સતત પ્રયત્ન કર્યા હતા, તેના પુરાવા રૂપે આજે અમદાવાદ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ જથ્થો અમે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ડૉ. જયંતી રવી, સમગ્ર રાજ્યના વેક્સીનેશન કાર્યક્રમના નોડલ ઓફિસર મુકેશ પંડ્યા, આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ સાથે આ જથ્થો સ્વીકાર્યો છે.

નીતિન પટેલે વધુમાં કહ્યુ કે, “વેક્સીન આવવાથી લોકોનો ઉત્સાહ વધ્યો છે, વડાપ્રધાને અગમચેતીના ભાગરૂપે પહેલા લોકડાઉન કર્યુ, કરફ્યુ અને તે પછી અનલોક કર્યુ, હવે બધી રીતે પ્રજાને વેક્સીનથી સુરક્ષિત કરવા માટે સમગ્ર દેશમાં 30 કરોડ નાગરિકોને વેક્સીનેશન આપવાનું કામ 16 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રથમ તબક્કામાં 3 કરોડ આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા ડૉક્ટર, નર્સિગ સ્ટાફ, સફાઇ કામદારોને 16 તારીખથી વેક્સીનેશનની શરૂઆત થશે, જેના માટે પ્રથમ તબક્કાનો 2 લાખ 76 હજારનો જથ્થો પહોચાડવા બદલ ગુજરાત સરકાર તરફથી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી ગુજરાતની જનતા તરફથી વડાપ્રધાનનો આભાર માનું છું.

રાજ્યમાં ક્યા ક્યા પહોચાડવામાં આવશે કોરોના વેક્સીનનો જથ્થો

ગુજરાતમાં આવેલા કોરોના વેક્સીનના 2 લાખ 76 હજાર જથ્થામાંથી અમદાવાદને 1 લાખ 30 હજાર ડોઝનો જથ્થો ફાળવી આપવામાં આવ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં આ જથ્થો રાખવામાં આવશે. ગાંધીનગરમાં બીજા 96 હજાર ડોઝ રાખવામાં આવશે. 22 હજાર ડોઝ આવતીકાલે અથવા ગુરૂવારે ભાવનગર વિસ્તારમાં મોકલી આપવામાં આવશે. અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લા, ગાંધીનગર જિલ્લો અને ગાંધીનગર વિસ્તાર તેમજ ભાવનગર વિસ્તારમાં કોરોના વેક્સીનનો જથ્થો ફાળવી આપવામાં આવ્યો છે.

બીજો જથ્થો પૂણાથી આવતીકાલે સુરત પહોચશે જેના માટે વેક્સીનના 93 હજાર 500 ડોઝ ફાળવવામાં આવ્યા છે. વડોદરા ખાતે પણ 94 હજાર 500 ડોઝનો જથ્થો પૂણાથી આવતીકાલે પહોચશએ. રાજકોટ ખાતે પણ આવતીકાલે વાહન દ્વારા કોરોના વેક્સીનનો જથ્થો પહોચશે.

20 હજાર કરતા વધુ વેક્સીનેશન સેન્ટર ગુજરાતમાં તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં 33 હજાર આરોગ્ય કર્મચારી સહિતના બધાને મળીને આ કોરોના વેક્સીન આપવામાં આવશે. 16 તારીખે વડાપ્રધાન મોદી ગુજરાત અને દેશના અનેક સેન્ટરો ઉપર આરોગ્ય કર્મચારીઓ સાથે વાતચીત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *