વેપારીની માગણીઓ બાદ અમરેલી નગરપાલિકા દ્વારા નિર્ણય
અમરેલીમાં મેઈન રોડ પર તાજેતરમાં જ નવા રોડનું નિર્માણ થયા બાદ નગરપાલિકા દ્વારા રોડની બન્ને તરફ પેવીંગ બ્લોક નાખવા માટેનો નિર્ણય લેવાયો છે. જેનાથી આ રોડ પરના અનેક વેપારીઓની સમસ્યાનું નીરાકરણ આવી જશે.
અમરેલીમાં પાલિકા દ્વારા કરોડો રુપિયાના ખર્ચે શહેરના મુખ્ય માર્ગોનું નવનીર્માણ કરવામાં આવ્યું છે જેમાં અમરેલીમાં રાજકમલ ચોકથી એસટી બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને કૉલેજ સર્કલ સુધીના મેઈન રોડનું પણ નિર્માણ થયું છે. આ રોડ શહેરનો મુખ્ય રોડ છે અને ટ્રાફિકથી સતત ધમધમે છે. નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલો રોડ ઊંચો છેઅને સાઈડમાં જગ્યા નીચાણમાં હોવાના કારણે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આના કારણે આ રોડ પર વેપારીઓ તેમજ ગ્રાહકો બન્નેને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અમુક વેપારીઓ દ્વારા તો પોતાના ખર્ચે રોડ સમાંતર પેવર બ્લોક પણ નાખી દેવામાં આવ્યા છે.આ સમસ્યા અંગે વેપારીઓની માગણીને ધ્યાને રાખીને અમરેલી નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન રામાણી દ્વારા રાજકમલ ચોકથી બસ સ્ટેશન, રેલવે સ્ટેશનથી લઈને છેક કૉલેજ સર્કલ સુધી રોડની બન્ને તરફ સમાંતર રીતે પેવર બ્લોક નાખવાનો નિર્ણય લેવાયો છે.
સિકોતર ભાવેશ વાઘેલા અમરેલી

