- દિલ્હી મૉડલની જેમ અમદાવાદનો વિકાસ કરીશું Manish Sisodia Road Show
- કોંગ્રેસ સક્ષમ નથી અને ભાજપમાં વ્યપાક ભ્રષ્ટાચાર
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાની આજે આખરી તારીખ છે, ત્યારે પ્રથમ વખત રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં ભાગ લઈ રહેલી આમ આદમી પાર્ટી (AAP) પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આજે અમદાવાદમાં શક્તિ પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે. આ માટે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે અમદાવાદ આવી પહોંચ્યા છે.
અમદાવાદ આવી પહોંચેલા મનીષ સિસોદિયાએ (Manish Sisodia) પત્રકાર પરિષદ સંબોધીને ભાજપ (BJP) અને કોંગ્રેસને (Congress) આડેહાથ લીધી હતી. ગુજરાતમાં ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે. આથી ભાજપ દર 5 વર્ષે પોતાના કોર્પોરેટર બદલી રહી છે. જ્યારે ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ (Congress) સક્ષમ નથી રહી. ગુજરાતમાં વિકાસની માત્ર વાતો જ થાય છે, પરંતુ કોઈ કામ નથી થતું. સિસોદિયાએ દિલ્હીની જેમ અમદાવાદમાં પણ પોતાની પાર્ટીની જીત નક્કી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સિસોદિયાએ ગુજરાતની પ્રજાને અપીલ કરતાં જણાવ્યું કે, જો તમે આમ આદમી પાર્ટીને (AAP) ચૂંટણીમાં જીતાડીને એક તક આપશો, તો અમે તમારી તમામ સમસ્યાઓ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. અમે લોકોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવા ચૂંટણીના મેદાનમાં ઉતર્યાં છીએ. જો આ ચૂંટણીમાં અમે જીતીશું, તો દિલ્હીના મૉડલની જેમ ગુજરાતમાં પણ પાયાની સુવિધા જેવી કે મહોલ્લા ક્લિનિક, સરકારી સ્કૂલોમાં મળતી સુવિધા ઉપલબ્ધ કરાવીશું.
આટલું જ નહીં, મનીષ સિસોદિયા દ્વારા આજે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બે રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્યો પણ ગુજરાતમાં પ્રચાર માટે આવશે.


