કચ્છ
૨૦૧૯માં વાઈલ્ડ લાઈફ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ રણજીતસિંહ જાડેજા અને કચ્છના જાણીતા પક્ષીવિદ નવીન બાપટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કચ્છના અબડાસા તાલુકામાં જખૌ પાસે આવેલ ઘોરાડ અભ્યારણ મુદ્દે કેસ દાખલ કરાયો હતો. અતિ દુર્લભ એવા ઘોરાડ પક્ષી માટે સંરક્ષિત વિસ્તાર એવા અભ્યારણમાં આડેધડ પસાર થતી વીજલાઇનથી પક્ષીઓને નુકસાન થઈ શકે જે ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ સર્વે સરકારી એકમો તેમજ ખાનગી કંપનીઓને વીજલાઈન ભૂગર્ભ કરવાનો આદેશ મળ્યો હતો. ઉપરાંત જ્યાં સુધી વીજલાઇન ભૂગર્ભ કરવાની કામગીરી પૂરી થાય ત્યાં સુધી બર્ડ ડીફ્લેક્ટર લગાવવા આદેશ કરાયો હતો જાે કે એ ચુકાદાના એક વર્ષ બાદ પણ આદેશ મુજબ કોઈ પ્રકારની અમલવારી કરવામાં આવી નથી. આ કારણે રણજીતસિંહ જાડેજા અને નવીન બાપટ દ્વારા ફરી એક વખત અદાલતની અવમાનનાની ફરિયાદ દાખલ થઈ છે. હાઈ ટ્રાન્સમિશન વીજ લાઈનના કારણે કચ્છમાં બે ઘોરાડ પક્ષીઓના મોત થયા છે અને પવનચક્કીઓના અવાજને કારણે પક્ષીઓ તેમના માટે સંરક્ષિત ઘોરાડ પક્ષીને ભારતમાં લુપ્ત પ્રજાતિ તરીકે ઘોષિત કરાયું છે. ૧૯૭૨ના વાઈલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ ઘોરાડ પક્ષીને સંરક્ષિત કરાયું છે. સંયુક્ત રાષ્ટ્રોના ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કંઝરવેશન ઓફ નેચર દ્વારા પણ ઘોરાડને ક્રિટીકલી એન્ડેંજર્ડ ઘોષિત કરી રેડ લિસ્ટમાં મુકાયું છે. જુલાઈ ૨૦૨૦માં કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબે દ્વારા સંસદમાં અપાયેલ એક ઉત્તર મુજબ કચ્છના ઘોરાડ અભ્યારણમાં એક પણ ઘોરાડ પક્ષી મૌજુદ નથી. જાે કે આ વર્ષે સપ્ટેમ્બરમાં વન વિભાગ દ્વારા લખપત તાલુકાની મુલાકાત દરમ્યાન ચાર ઘોરાડ પક્ષીઓ નજરે પડ્યાં હતાં જેની માહિતી લખપતના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા ટ્વીટર પર અપાઈ હતી.સતત લુપ્ત થતા ઘોરાડ પક્ષી જેને ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પણ કહેવામાં આવે છે તેના સંરક્ષણ માટે અનેક વખતથી પ્રયાસો કરાઈ રહ્યા છે. ગત વર્ષે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા પણ કચ્છના ઘોરાડ અભ્યારણમાં પસાર થતી વીજ લાઈનો ભૂગર્ભ એટલે કે અંડરગ્રાઉન્ડ કરવા આદેશ કર્યો હતો. જાે કે આ મુદ્દે એક વર્ષ સુધી કોઈ પગલાં લેવામાં ન આવતા અવમાનનાની ફરિયાદ દાખલ કરાઈ છે.


