ગિરગઢડા
ભરત ગંગદેવ..
શિક્ષણ એ સાધના છે સેવા છે મા સરસ્વતી તણી, માનવીય ઉત્કર્ષ માટે પણ આ અંતિમ ચરણ છે.
આમ તો વર્ષોથી આપણી પરીક્ષા પધ્ધતિની ઘરેડમાં અવારનવાર સુધારા પણ કરવામાં આવે છે. આમ તો ધોરણ બાર અને એમાં પણ વિજ્ઞાન પ્રવાહ એટલે તબીબ, ઈજનેર આર્કિટેક્ટ, ફાર્મસી જેવાં અનેક મૂલ્યવાન ક્ષેત્રનું પ્રવેશદ્વાર.. હાલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બારની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો છે તે મુજબ બોર્ડનાં વિદ્યાર્થીઓને ૧૦૦ ટકા અભ્યાસ રહેશે. પરીક્ષા વર્ષનાં અંતે એક વખત સળંગ લેવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને બે પેપર વચ્ચે રજાનો લાભ મળતો નથી. તેની સામે સી.બી.એસ.સી. બોર્ડમાં ભણતાં વિદ્યાર્થીઓને સેન્ટ્રલ બોર્ડે ૭૦ ટકા અભ્યાસક્રમ કરી આપ્યો છે. અને પરીક્ષા પણ બે સેમેસ્ટર મેથડથી એટલે કે બે ટુકડે લેવાશે. આ ઉપરાંત તેઓને સમયપત્રકમાં પણ ફિઝિક્સ, મેથ્સ, કેમેસ્ટ્રી જેવાં વિજ્ઞાનનાં અઘરાં અને મહત્ત્વનાં પેપરો વચ્ચે પાંચથી છ દિવસ જેવો સમયગાળો રાખવામાં આવે છે. જેથી પરીક્ષામાં તેઓ સારો દેખાવ પણ ચોક્કસ કરી શકે છે. જ્યારે એન્જિનિયરિંગ એડમિશન લીસ્ટ ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડનું કોમન બને છે. જેથી ગુજરાત બોર્ડનાં વિદ્યાર્થીઓને ભારોભાર અન્યાય થાય છે. જો કે બંને બોર્ડનાં અભ્યાસક્રમ, પરીક્ષા પધ્ધતિ, અને સયયપત્રક સમાન હોવા જોઈએ. કદાચ પરીક્ષા પધ્ધતિ અને અભ્યાસક્રમમાં હવે ફેરફાર શક્ય ન હોય તો પણ અઘરાં વિષયોનાં પેપરમાં સેન્ટ્રલ બોર્ડની માફક સમયગાળો તો સરળતાથી આપી શકાય. તો ગુજરાતનાં વિદ્યાર્થીઓને શક્ય એટલો ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવા વાલીઓ વતી નિવૃત પ્રાધ્યાપક પી.બી.ઉનડકટ દ્વારા વિનંતી કરવામાં આવેલ છે. અને પ્રજાવત્સલ સરકાર ગુજરાત બોર્ડનાં વિદ્યાર્થીઓને શક્ય તેટલો અન્યાય નિવારવા યોગ્ય કાર્યવાહી કરે તેવી વિનંતી પણ પી.બી.ઉનડકટ સાહેબ દ્વારા ગુજરાતનાં શિક્ષણ મંત્રીને લેખિત સ્વરૂપે કરવામાં આવેલ છે..


