હાલના સમયમાં અતિ વ્યસ્ત જીવનશૈલીને કારણે સામાન્ય જનમાં પણ લોહીનું ઊંચું દબાણ, ડાયાબિટીસ, કિડનીના રોગો, વિવિધ પ્રકારના કેન્સર જેવા ગંભીર રોગો વ્યાપી રહ્યા છે ત્યારે રાજ્યના નાગરિકોને તંદુરસ્તી બક્ષે અને બીમારીઓથી સુરક્ષાકવચ આપવા માટે નિરામય ગુજરાત અભિયાનનો તા.૧૨ નવેમ્બરના રોજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવશે.
નિરામય ગુજરાત અભિયાન હેઠળ જામનગર જિલ્લાકક્ષાનો કાર્યક્રમ કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ઉમિયાજી પરિવાર પટેલ સમાજ, ફલ્લા ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાશે. આયોજીત મેગા હેલ્થ કેમ્પમાં નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ મેગા કેમ્પમાં બહોળા જનસમુદાયને વધુમાં વધુ લાભ મળી રહે તે માટે પ્રયત્ન કરવામાં આવશે.
અભિયાન હેઠળ રાજ્યમાં બિન ચેપી રોગથી લોકોની કાળજી લેવા ૩૦થી વધુ વયના નાગરિકોની દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો તેમજ સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સ્ક્રિનિંગ તપાસ કરવામાં આવશે. જેમાં તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું એક નિરામય કાર્ડ આપવામાં આવશે. આ પ્રકારના લોકોના આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગોના સ્ક્રિનિંગથી સારવાર સુધીની સુવિધાથી સામાન્ય જનને આરોગ્ય ખર્ચ પણ બચશે.
