દિવ્યાંગજનો માટે સમાજના સામાન્ય પ્રવાહમા જોડાવા સાનુકુળ વાતાવરણ ઉભુ કરી શકાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજન સશક્તિકરણ માટે વિવિઘ યોજનાઓ અમલીકૃત થઈ રહી છે. તા ૦૩/૧૨/૨૦૨૧ના રોજ “વિશ્વ દિવ્યાંગ દિવસ”ના રોજ જામનગર જિલ્લામા વિવિઘ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં દિવ્યાંગજનને દિવ્યાંગ પ્રમાણપત્ર અને UDID CARD મળી રહે તે બાબતે મેગા કેમ્પનું આયોજન જી.જી.હોસ્પીટલ જામનગર ખાતે સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તથા જી.જી.હોસ્પીટલના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવેલ. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થનાબેન શેરશીયા, જી.જી. હોસ્પીટલના અધિક્ષકશ્રી ડો. દિપક તિવારી, જી.જી. હોસ્પીટલના આર.એમ.ઓ. ડો.આર.એમ.ભુવાના અધ્યક્ષ સ્થાને કેમ્પનો પ્રારંભ કરવામા આવ્યો હતો. કેમ્પમાં બહોળી સંખ્યામાં જામનગર જિલ્લાના દિવ્યાંગજનોએ ઉપસ્થિ રહી મેગા કેમ્પનો લાભ લીધો હતો.
કેમ્પ ઉપરાંત દિવ્યાંગજન મતદાર જાગૃતિ કાર્યક્રમ તથા મતદાર સુઘારણા કાર્યક્રમના ભાગરૂપે દિવ્યાંગ સંસ્થાઓ (૧) શ્રી રામ મુક બઘીર વિદ્યા વિહાર ટ્રસ્ટ (બહેરા-મુંગા શાળા) દિવ્યાંગ સંસ્થા ખાતે કરવામા આવેલ કાર્યક્રમમા ૬૫ જેટેલા મુક-બઘીર/બહેરા-મુંગા દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને (૨) શ્રી અંઘજન વિવિઘ લક્ષી તાલીમકેંદ્ર જામનગર ખાતે કરવામા આવેલ કાર્યક્રમમા ૫૫ પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને અને (૩) શ્રી સંવેદના મંદબુઘ્ઘિ બાળકોની શાળા અને ઓમ ટ્રેનીંગ સેન્ટર જામનગર સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં ૫૦-૬૦ માનસિક દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને તેમજ તેમના વાલીગણને મતદાન અને મતદાર જાગૃતિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમોમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, મામલતદારશ્રી જામનગર (શહેર), નાયબ મામલતદારશ્રી (કલેક્ટર કચેરી ચુંટણીશાખા), મામલતદારશ્રી જામનગર(ગ્રામ્ય),તાલુકા વિકાસ અધિકારી જામનગર અને સંસ્થાઓના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવેલ હતું.


