રાજકોટ શહેર પોલીસ કમિશનર બાદ જીલ્લા વડા બલરામ મીણાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ઉત્તરાયણના તહેવારને ધ્યાને લઇને જાહેરનામાની વિગત જાહેર કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, કોરોના ગાઈડલાઈનના પાલન સાથે લોકો ઉજવણી કરી શકે છે. મેદાન, ખુલ્લી જગ્યા અને રોડ-રસ્તા પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બલરામ મીણાએ વધુમાં જણાવ્યું હતું કે, તહેવારની ઉજવણીમાં સેનિટાઈઝ કરવું અને માસ્ક પહેરવું ફરજીયાત છે.
સોસાયટીના લોકો એક સાથે એક ધાબા પર પતંગ ઉડાડી શકશે નહીં. માઇક, સ્પીકર, ડી.જે પણ વગાડી શકાશે નહીં. ચાઈનીઝ દોરી અને તુક્રલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવશે. આ વખતે ઉત્તરાયણ પર્વ જુદી જ રીતે ઉજવવાનો છે. અને લોકો તેની કાળજી રાખે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન થાય તે માટે પતંગ-દોરાના વેપારીઓ સાથે પણ એક બેઠક યોજવામાં આવશે.
