Train To Statue Of Unity: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ૧૧.૦૦ કલાકે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી ૮ ટ્રેનોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. વડાપ્રધાન દ્વારા ગુજરાતમાં રેલવેને લગતા અન્ય કેટલાંક પ્રોજેકટસનું પણ આ પ્રસંગે ઉદ્ઘાટન કરાશે.
આ પ્રસંગે કેવડિયા ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય રેલવે મંત્રી પિયૂષ ગોયલ પણ જોડાશે. વડાપ્રધાન દ્વારા ડભોઇ-ચાંદોદ રૂપાંતરિત બ્રોડ ગેજ રેલવે લાઈન, ચાંદોદ- કેવડિયા નવી બ્રોડ ગેજ રેલવે લાઈન, પ્રતાપનગર- કેવડિયા નવા વિધુતીકરણ રેલ ખંડ તથા ડભોઇ, ચાંદોદ અને કેવડિયા સ્ટેશનોની નવી ઈમારતોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઇમારતોને સ્થાનિક તેમજ આધુનિક મુસાફરોની સુવિધાઓને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું સૌપ્રથમ રેલવે સ્ટેશન છે.
આ પ્રોજેક્ટસના નિર્માણ થકી નવી રોજગારી અને વ્યવસાયની તકો ઉપલબ્ધ થશે. જેના પરિણામે નજીકના આદિવાસી વિસ્તારોમાં વિકાસની પ્રવૃત્તિઓને વેગ મળશે. નર્મદા નદીના કાંઠે મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રાચીન તીર્થ સ્થળો સાથે પણ આ ટ્રેનો જોડશે જેના લીધે આ ક્ષેત્રના સામાજિક-આર્થિક વિકાસ માટે પ્રેરક બની રેહશે અને સ્થાનિક-આંતરરાષ્ટ્રીય પર્યટનમાં પણ વધારો થશે.
