- શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી જાહેરાત Education
અગાઉ ઓક્ટોબર 2019માં પણ ભરતીની જાહેરાત કરાઈ હતી
ગાંધીનગર: શિક્ષણ વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડામાએ ખાલી પડેલી 6,616 જેટલી નવી ભરતી કરવાની જાહેરાત કરી છે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે રાજ્યના ઉચ્ચશિક્ષણ તેમજ ઉચ્ચત્તર-માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે રોજગાર અવસર દ્વારા કારકિર્દી ઘડતર માટે સમગ્રતયા 6,616 જેટલી નવી ભરતી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે
શિક્ષણ મંત્રીએ આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં ઉમેર્યુ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારે યુવાનોને શૈક્ષણિક ક્ષેત્રે વ્યાપક રોજગાર આપવા સાથે શિક્ષણ સુવિધાઓનો વ્યાપ વિસ્તારવાના ઉદાત્ત ભાવથી આ નવી ભરતીનો નિર્ણય કર્યો છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની વિસ્તૃત ભૂમિકા આપતાં કહ્યું કે, રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં કેન્દ્રીયકૃત રીતે 927 અધ્યાપક સહાયકોની ભરતી કરવામાં આવશે. રાજ્યની કોલેજોમાં વિવિધ 44 જેટલા વિષયો માટે 927 અધ્યાપક સહાયકો સેવાઓ આ ભરતી પૂર્ણ થતાં મળતી થશે એમ પણ શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ હતું.
આગામી 20મી જાન્યુઆરી સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમણે ભરતીની વધુ વિગતો www.rascheguj.in વેબસાઇટ પરથી ઉપલબ્ધ બની રહેશે એમ શિક્ષણમંત્રીએ જણાવ્યું હતુ.
તેમણે વધુમાં જણાવ્યું કે આ સાથે રાજ્યની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ 5700 શિક્ષણ સહાયકોની ભરતી રાજ્ય સરકાર કરશે.
તદઅનુસાર, નવી બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 3382 અને નવી બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2307 શિક્ષણ સહાયકોની નિમણૂંક કરવામાં આવશે.
રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જે 3382 શિક્ષણ સહાયકોની ભરતી થવાની છે તેની વિગતો આપતાં જણાવ્યું કે અંગ્રેજી વિષય માટે 624, એકાઉન્ટ એન્ડ કોમર્સ વિષય માટે 446, સોશિયોલોજી વિષય માટે 334, ઇકોનોમિકસ વિષય માટે 276, ગુજરાતી વિષય માટે 254 તેમજ અન્ય વિષયોના શિક્ષણ સહાયકોની ભરતી થશે.
તે જ પ્રમાણે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન વિષય માટે 1037, અંગ્રેજી વિષય માટે 442, સામાજિક વિજ્ઞાન વિષય માટે 289, ગુજરાતી વિષય માટે 234 તેમજ અન્ય વિષયો માટેની મળી કુલ 2307 શિક્ષણ સહાયકોની ભરતી કરાશે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે મુખ્યમંત્રીના દીર્ઘદૃષ્ટિપૂર્ણ આયોજનમાં સમગ્રતયા આ નવી 6616 જેટલી નવી જગ્યાઓ પર યુવા શિક્ષણ સહાયકો ઉપલબ્ધ થતાં શિક્ષણ ક્ષેત્રે કુશળ માનવબળ નવો વર્કફોર્સ રાજ્યના વિદ્યાર્થીઓના કારકીર્દી ઘડતરમાં યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ શિક્ષકોની ભરતની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ ઑક્ટોબર 2019માં 12,344 જગ્યાની ભરતીની જાહેરાત કરાઈ હતી. પરંતુ તેમાંથી અત્યાર સુધી કેટલી ભરતી થઇ તે સવાલના જવાબ અંગે શિક્ષણમંત્રી મૌન રહ્યા હતા.
